લખતરના ડેરવાળાના ખેતરમાં મધમાખીઓનો આતંક : ૯ને ડંખમાર્યા
વઢવાણ તા. ૨ : લખતર તાલુકાના ડેરવાળા ગામની સીમમાં આવેલ રાજદિપસિંહ જયદિપસિંહની માલીકીના ખેતરમાં અંદાજે ૯ જેટલા ખેતમજુરો ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન અચાનક મઘમાખીનું ઝુંડ ઉડીને આવતાં કામ કરી રહેલા મજુરો ઉપર આક્રમણ કરતાં દોડધામ મચી જવા પામી હતી જેમાં અંદાજે ૯ જેટલાં મજુરોને મઘમાખીએ ડંખ મારતાં ઈજાઓ પહોંચાડી હતી. જે અંગેની આસપાસના લોકો સહિત ખેતર માલીકે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં ૧૦૮ના પાયલોટ દિગુભા તેમજ ઈએમટી યુવરાજસિંહ સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લખતર સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
જયારે પ્રાથમિક તપાસમાં મઘમાખી કરડતાં ખેતમજુરો (૧) ધરતીબેન રતીલાલ પટેલ ઉ.વ.૨૦ (૨) મગનભાઈ નાથાભાઈ ભરવાડ ઉ.વ.૩૫ (૩) દમજુબેન ગફાભાઈ મકવાણા ઉ.વ.૬૦ (૪) કાજલબેન ભરતભાઈ જાદવ ઉ.વ.૨૫ (૫) રાજદિપસિંહ જયદિપસિંહ રાણા ઉ.વ.૨૪ (૬) રોહિતભાઈ બળદેવભાઈ ઉ.વ.૫ (૭) રતીબેન મુકેશભાઈ મકવાણા ઉ.વ.૧૭ (૮) પ્રિયંકાબેન બાબુભાઈ જાદવ ઉ.વ.૧૬ (૯) મહેશભાઈ જગાભાઈ રાઠોડ ઉ.વ.૩૫નો સમાવેશ થાય છે. આ તમામ ખેતમજુરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતાં તંત્રએ રાહત અનુભવી હતી.