ધોરાજી પાસે બસ સળગાવવાની ઘટનામાં વોન્ટેડ વિશાલ કુંભાણી શાપરમાંથી પકડાયો
શાપર-વેરાવળમાં રંજન ગોસ્વામીના ઘરે આશરો લઇ છૂપાતા તેની પણ ધરપકડ કરાઇ
રાજકોટ તા. ૩ :.. ધોરાજીના ભુખી નદી પાસે એસ. ટી. બસ સળગાવી હત્યાની કોશીષના ગુન્હામાં સામેલ શખ્સને શાપર પોલીસે પારડી પાસે રપ વારીયા કવાર્ટર માંથી દબોચી લીધો હતો. અને પોલીસે મકાન માલીક બાવાજી મહિલા વિરૂધ્ધ નાસતા ફરતા આરોપીને આશરો આપવા સબબનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
મળતી વિગત મુજબ ધોરાજીમાં ભુખી નદી પાસે થોડા સમય પહેલા એસ. ટી. બસ સળગાવવાની ઘટનામાં ચાલકની હત્યાની કોશીષમાં જૂનાગઢના વડાલ ગામનો વિશાલ વિરજીભાઇ કુંભાણી સામેલ હોવાનું બહાર આવતા ધોરાજી પોલીસ મથકમાં તેના વિરૂધ્ધ હત્યાની કોશીષનો ગુન્હો નોંધાયો હતો.
દરમ્યાન શાપર પોલીસ મથકના પીએસઆઇ સીધુ તથા દીલીપભાઇ કલોતરા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતીમના આધારે શાપરના પારડી પાસે રપ વારીયામાં રહેતી રંજન વિજય ગોસ્વામીના મકાનમાં ત્રાટકી વિશાલ વિરજીભાઇ કુંભાણી (ઉ.ર૮) ને પકડી લીધો હતો. વિશાલ વિરૂધ્ધ ધોરાજીમાં હત્યાની કોશીષનો ગુન્હો નોંધાતા તે ફરાર હતો. પોલીસે તેને પકડી લઇ ધોરાજી પોલીસને સોંપ્યો હતો. અને નાસતા ફરતા આરોપી વિશાલને આશરો આપનાર રંજન વિજય ગોસ્વામી (ઉ.૩૮) વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. રંજનનો પતિ વિજય પણ બાઇક સળગાવવાના ગુન્હામાં ફરાર છે.