લક્ષ્મી ડાયમંડ મુંબઇ તરફથી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલને બે એમ્બ્યુલન્સ
અમરેલી,તા.૨ : ઉધોગપતિ, કેળવણીકાર, વતનના રતન વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલની મુંબઈની આંતર રાષ્ટ્રીય હીરાઉદ્યોગ કંપની લક્ષ્મી ડાયમંડ મુંબઈના ડીરેકટર શ્રીમતિ સરોજબેન અશોકભાઈ ગજેરાએ મુલાકાત લીધી હતી તથા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓની મુલાકાત લઈને તબીયતની પુચ્છા કરી હતી તથા છેલ્લા સાત-સાત મહિનાથી પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા તથા સારવાર કરતા ખરા અર્થમાં કોરોના વોરિયર્સ એવા તમામ તબીબો તથા મેડિકલ સ્ટાફને અભિનંદન આપ્યા હતા.
પોતાની મુલાકાત દરમિયાન શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ઝડપી સરવાર માટે બે એમ્બ્યુલન્સ લેવા માટે લક્ષ્મી ડાયમંડ મુંબઈ તરફથી રૂ.૨૫ લાખના અનુદાનની જાહેરાત કરી હતી. આ તકે લક્ષ્મી ડાયમંડના એમ.ડી. અશોકભાઈ ગજેરાએ જણાવ્યું હતુ કે મારા વતન અમરેલીના લોકોની આરોગ્ય સેવામાં અમારી કંપની લક્ષ્મી ડાયમંડ મુંબઈ સહભાગી બની એનો મને આનંદ છે. આ તકે સિવિલ સર્જન ડો. શોભનાબેન મહેતા, કેમ્પસ ડાયરેકટર પીન્ટુભાઈ ધાનાણી તથા હરેશભાઈ બાવીશી વિ.એ શ્રીમતિ સરોજબેન ગજેરાનુ સન્માન કરીને હોસ્પિટલની મુલાકાત કરાવી હતી.