દ્વારકાના ધ્રેવાડ પાસે મહેસાણાના રાજપૂત પરિવારના ૪ સભ્યોના અકસ્માતમાં મોતથી અરેરાટી
ખંભાળીયા - દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધ્રેવાડ ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ૪ના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના ધ્રેવાડ ગામ પાસે કાલે બપોરે કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો અને કાર ટ્રકમાં ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં ૩ પુરૂષો અને ૧ મહિલાનું મોત નિપજ્યું હતું. મૃતકોને દ્વારકા પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. કાલે બપોરના સમયે મહેસાણાના નાગલપુરનો રાજપૂત પરિવાર જીજે૦૨-બીડી૮૪૬૨ નંબરની અલ્ટો કારમાં દ્વારકાથી પરત મહેસાણા - નાગલપુર ફરી રહ્યો હતો ત્યારે ધ્રેવાડ ગામ નજીકના નવા બનાવાયેલા હાઇવે રોડ પર સામેથી રોંગ સાઇડથી આવતા કાળમુખા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ઘટનાસ્થળે જ કારમાં સવાર મહેન્દ્રસિંહ રાજપૂત, સોનલબેન મહેન્દ્રસિંહ રાજપૂત, પવનસિંહ ભૂપતસિંહ રાજપૂત તથા જૈમિન બળદેવસિંહ ઠાકોરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ દ્વારકા પોલીસને કરાતા પી.આઇ. પી.બી.ગઢવી તથા સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જરૂરી કામગીરી બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘટના અંગે દ્વારકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે. (તસ્વીર - અહેવાલ : વિનુભાઇ સામાણી, દિપેશ સામાણી, કૌશલ સવજાણી - ખંભાળીયા - દ્વારકા)