સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd November 2020

જામનગરના એચ.જે.લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત નવરાત્રી પર્વની ગરબા -દીવડા-દાંડીયા અને આરતી શણગારની ડીજીટલ સ્પર્ધાના વિજેતાઓને ઇનામો

કોરોના કાળે આપણને ઉત્સવોની ઉજવણી માટે એક નવો અનુભવ કરાવ્યો છે : જીતુ લાલ

જામનગર તા.૨ : નવરાત્રી પર્વની ઉજવણીના ઉપલક્ષ્યમાં એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ડીજીટલ નવરાત્રી સ્પર્ધાના વિજેતાઓનો પુરસ્કાર વિતરણ સમારોહ સોશ્યલ મિડીયાના માધ્યમથી યોજાયો હતો.

આ અવસરે સ્વાગત પ્રવચન કરતાં એચ.જે.લાલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે જણાવ્યુ હતું કે, વૈશ્વિક રીતે સંકટ બનેલા કોરોના મહામારીના આ દિવસોએ આપણને આપણા પરંપરાગત ઉત્સવો અને પર્વની ઉજવણી કરવા માટે એક નવો અનુભવ કરાવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે સમૂહગત રીતે કરવાના બદલે ઉત્સવની ઉજવણી સરકારની માર્ગદર્શીકા મુજબ ઘરે બેઠાં જ આપણે ઉત્સાહભેર કરી રહયા છીએ.

થોડા દિવસો પહેલાં ગણેશ ઉત્સવની ઉજવણી પણ જે રીતે સોશ્યલ મિડીયાના માધ્યમથી ભકિતભાવ અને ઉમંગ સાથે કરી એ જ રીતે નવરાત્રી પર્વ પ્રસંગે ગરબા-દાંડીયા-દિવડા અને આરતી શણગારની સ્પર્ધાઓ પણ એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સોશ્યલ મિડીયાના માધ્યમથી કરવામાં આવી હતી.જેના વિજેતાઓને પુરસ્કૃત કરવાનો સમારંભ પણ  શરદ પૂનમના દિવસે ફેસબુક મારફત લાઈવ ટેલીકાસ્ટથી આપણે આયોજીત કર્યો છે.

સંકટના સમયમાં પણ સમાજ જીવનમાં ઉત્સવની ઉજવણી અને પર્વનો આનંદ લઈ શકાય તે માટે એચ.જે.લાલ ટ્રસ્ટ દ્વારા કરાયેલા આ નવતર આયોજનને મોટી સંખ્યામાં ભાગ લઈને સફળ બનાવેલ છે તે માટે તમામ સ્પર્ધકોની સાથે આ સ્પર્ધાના જુદા-જુદા વિભાગના વિજેતાઓને પણ જીતુભાઈ લાલે અભિનંદન પાઠવ્યા હતાં. તેઓએ આ નવરાત્રી સ્પર્ધામાં ભાગ લેનાર ૭૦ થી ૮૦ વર્ષની વય સુધીના વરિષ્ઠ નાગરીકોનો આ તકે વિશેષ આભાર માન્યો હતો.

એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપનાર ભરતભાઈ કાનાબારે વિજેતાઓના નામની ધોષણા કરી હતી અને સ્પર્ધામાં આવેલી કૃતિઓ અગે વિશ્લેષણ આપી વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતાં.

કાર્યક્રમના પ્રારંભે આધ્યશકિતના ચરણોમાં પ્રાર્થનારૂપે આરતી સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે કરી હતી અને સ્પર્ધકોએ પોતાની કૃતિ તેયાર કરવા સમયના મોકલેલા વિડિયોનુ જીવંત પ્રસારણ પણ આ વેળાએ સોશ્યલ મિડીયાના માધ્યમથી લોકોએ નિહાળ્યું હતુ.

આ નવરાત્રી સ્પર્ધાના તમામ સ્પર્ધકો વિજેતાઓને એકત્રિત કરવાનું પ્રર્વતમાન સમયમાં ઉચિત નહી હોવાથી એકમાત્ર દિવ્યાંગ સ્પર્ધક ખ્યાતીબેન વિજયભાઈ વોરાને મંચ પર આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલ અને ટ્રસ્ટીમીતેષભાઈ લાલના હસ્તે પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતાં.

કાર્યક્રમના અંતમાં આભાર દર્શન કરતાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી  મિતેષભાઈ લાલે આ પ્રકારના સોશ્યલ મિડીયાના માધ્યમથી યોજાતા સ્પર્ધાત્મક કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ સ્પર્ધકોનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ ટ્રસ્ટ દ્રારા આયોજીત કાર્યક્રમો અને સામાજીક સેવા પ્રવૃતિના કાર્યમાં સૌનો સહકાર સાંપડી રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

આ કાર્યક્રમનું સંચાલન પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાએ કર્યું હતું. આ સ્પર્ધાના તમામ વિજેતાઓને તેમના પુરસ્કાર તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને તેમના સ્મૃતિચિન્હ સ્પર્ધકે પોતાના પ્રવેશ પત્રમાં દર્શાવેલ સરનામા પર સંસ્થા દ્વારા પહોંચતા કરવામાં આવશે.

(12:57 pm IST)