ભૂજ સિવાયના કચ્છના ૯ તાલુકામાં એક પણ કેસ નહીં : નવા માત્ર ૭ દર્દી : મોરબી જીલ્લામાં ૧૦ અને ભાવનગરમાં ૯ ને કોરોના
રાજકોટ,તા. ૨: સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોનાનો કહેર હવે ઠંડો પડી રહ્યો હોય તેમ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે જે મળતા અહેવાલો અહી રજુ છે.
કચ્છમાં કોરોનાના કેસનો આશ્ચર્યજનક ઘટાડો
ભુજ : ઠંડી વચ્ચે યુરોપના દેશોમાં અને ભારતમાં દિલ્હીની અંદર કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે કચ્છમાં કોરોનાના કેસોમાં આશ્યર્યજનક દ્યટાડો જોવા મળી રહ્યો છે. વચ્ચે નવા કેસોમાં આવેલા સતત ઉછાળા પછી છેલ્લા ચારેક દિવસથી દરરોજના નવા કેસ દ્યટી રહ્યા છે. આજે નવા ૭ કેસ જ નોધાયા છે. જે માત્ર ભુજમાં જ છે. જયારે અન્ય ૯ તાલુકામાં કોરોનાના કેસ નથી. જોકે, વિધાનસભાની પેટા ચુંટણીવાળા ત્રણ તાલુકાઓ લખપત, નખત્રાણા અને અબડાસામાં તો કોરોના ગાઇડલાઇનની ઐસી તૈસી વચ્ચે કોરોનાના મુકત થઈ ગયા હોય તેમ નવા કેસ નથી. અત્યારે એકિટવ કેસ પણ દ્યટીને ૨૧૨ રહ્યા છે. જયારે રજા મળેલ દર્દીઓની સંખ્યા ૨૪૩૫ અને કુલ દર્દીઓની સંખ્યા ૨૭૬૪ છે. સારવાર દરમ્યાન મોતની સંખ્યા સરકારી ચોપડે ૭૦ છે, પણ બિનસતાવાર મૃત્યુ આંક ૧૨૦ આસપાસ હોવાની આશંકા છે.
મોરબી અને હળવદમાં દર્દીઓ સ્વસ્થ
મોરબી પંથકમાં કોરોના કેસો દ્યટી રહ્યા છે અને મોરબી તથા હળવદ તાલુકામાં નવા ૧૦ કેસો નોંધાયા છે તો ૦૭ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.
નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૫ કેસો ગ્રામ્ય પંથકમાં જયારે હળવદ તાલુકાના ૦૫ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં મળીને કુલ ૧૦ કેસો નોંધાયા છે જયારે વધુ ૦૭ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૨૨૫ થયો છે જેમાં ૧૪૪ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૧૯૫૫ દર્દીઓ સ્વસ્થ થયા છે
ભાવનગરમાં ૫૪ દર્દીઓ સારવાર હેઠળ
ભાવનગરઃ જિલ્લામા વધુ ૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૭૯૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૮ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા મહુવા ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૯ અને તાલુકાઓના ૪ એમ કુલ ૧૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૪,૭૯૩ કેસ પૈકી હાલ ૫૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૬૬૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.