સારવાર દરમિયાન વધુ બે સિંહોના મોત : મૃતાંક ૨૩
સિંહોના ટપોટપ મોતથી ચિંતાનું મોજુ ફેલાયું : સિંહોની કાળજી માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે : નિષ્ણાોતો સક્રિય : સિંહોમાં વાયરસના લક્ષણો
અમદાવાદ, તા.૨ : ગીર અભ્યારણમાં સિંહોના મોતનો સિલસિલો જારી રહ્યો છે. સારવાર દરમિયાન વધુ બે સિંહના મોત થતાં મોતનો આંકડો ઝડપથી વધીને હવે ૨૩ ઉપર પહોંચ્યો છે. ૨૦ દિવસના ગાળામાં જ ૨૩ સિંહના મોતથી સરકાર હચમચી ઉઠી છે. તપાસ દરમિયાન વાયરસથી સિંહના મોત થયા હોવાના અહેવાલને સમર્થન મળ્યું છે. બીજી બાજુ સિંહોના મોતના મુદ્દે જોરદાર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. એકબાજુ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકાર સિંહોના મોતના સાચા આંકડા આપી રહી નથી. ભારે લાપરવાહી સરકાર દર્શાવી રહી છે. બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, ગીર રેંજમાં તમામ સિંહની કાળજી લેવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. પુણે અને અન્યત્ર જગ્યાઓથી નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી છે. સિંહની ચકાસણી કરવામાં આવી રહી છે. અમેરિકાથી વેક્સિન પણ મંગાવવામાં આવી છે. સારવાર હેઠળ રહેલા સિંહની ચકાસણી કરવામાં આવી રહી છે. વાયરસના લીધે સિંહના મોત થયા હોવાની બાબત સપાટી ઉપર આવી ચુકી છે. ૩૧ સિંહ સ્વસ્થ હાલતમાં મળ્યા છે. બિમાર રહેલા સિંહને શોધી કાઢવા માટે પણ તપાસ ચાલી રહી છે. ગીર વન્ય વિસ્તારમાં પ્રથમ વખત સિંહના મોતની ઘટના બાદ ૨૬ સિંહને બચાવવાના ઉદ્દેશ્યથી ગીર પૂર્વથી પશ્ચિમમાં એક સ્થળે મોકલી દેવાયા છે. સિંહના મોતના કારણ જુદા જુદા આવી રહ્યા છે. વાયરસના લીધે મોતના અહેવાલને સમર્થન મળ્યું છે. ૧૪ સિંહના મોત સારવાર દરમિયાન થયા છે જ્યારે સાતના મૃતદેહ અગાઉ મળી આવ્યા હતા. બીજા બે સિંહના મોત પણ આજે સારવાર દરમિયાન થયા હતા. કેટલાક સિંહના શરીરમાં વાયરસના લક્ષણો મળી આવ્યા છે. ૨૪મી સપ્ટેમ્બરથી ૫૫૦ કર્મચારીઓ દ્વારા ૬૦૦ સિંહની ચકાસણી કરવામાં આવી છે. નવ સિંહ બિમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે મંગળવારના દિવસે સારવાર દરમિયાન વધુ બેના મોત થયા છે તે અમરેલી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોત થયા છે. આને લઇને તંત્રની ચિંતા વધી ગઈ છે. સિંહોના ટપોટપ મોતથી પ્રકૃતિપ્રેમીઓ અને વન્ય પ્રેમીઓમાં તો જબરદસ્ત આક્રોશ ફેલાયો છે કે, ગીર પંથકમાં સિંહોના મોતને લઇ સમગ્ર પરિસ્થિતિ ગંભીર અને સંવેદનશીલ હતી, પરંતુ તેમછતાં સરકાર અને વનવિભાગ દ્વારા બહુ હીનપ્રકારે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થયો છે પરંતુ આ સમગ્ર મામલામાં જે કોઇ જવાબદાર હોય તે તમામ સામે હવે કાયદાકીય રાહે પગલાં લેવાવા જોઇએે. બીજીબાજુ, ગુજરાતના રાજકારણના પીઢ નેતા શંકરસિંહ વાઘેલાએ હવે સમગ્ર મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, સિંહોના મોત મામલામાં રાજય સરકારની સીધી અને ગંભીર બેદરકારી અને ઉદાસીનતા સ્પષ્ટ થઇ ગઇ છે. દરમ્યાન ગીર પંથકમાં હવે ૨૩ સિંહોના મોત બાદ હવે સફાળા જાગેલા વનવિભાગ દ્વારા દેશભરમાંથી ઝુના નિષ્ણાતો અને તજજ્ઞ વન્ય પ્રાણી ચિકિત્સકોને ગીર બોલાવવાનું નક્કી કર્યું છે. સિંહોના મોત મામલે હવે પરિસ્થિતિ ગંભીર અને બેકાબૂ બનતાં વન વિભાગ અને રાજય સરકાર દ્વારા દેશભરમાંથી ઝુના નિષ્ણાતો અને તજજ્ઞ વન્યપ્રાણી ડોકટરોને બોલાવવામાં આવી ચુક્યા છે. દેશના જુદા જુદા ભાગોમાંથી ટીમ આવી પહોંચી છે.
સિંહમાં વાયરસના લક્ષણ
અમદાવાદ, તા. ૨ : ગીર રેંજમાં મોટી સંખ્યામાં સિંહના મોતથી વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. નિષ્ણાતોની ટીમ ચકાસણીમાં લાગેલી છે. સિંહોની સ્થિતિ નીચે મુજબ છે.
સારવાર દરમિયાન વધુ મોત............................ ૦૨
મોતનો આંકડો................................................. ૨૩
સિંહોની ચકાસણી............................................ ૬૦૦
કર્મચારી જોડાયા............................................ ૫૫૦
હાલમાં સિંહ બિમાર........................................... ૦૯
સારવાર દરમિયાન કુલ મોલ............................. ૧૬
સિંહોના મૃતદેહ મળ્યા....................................... ૦૭