કોડીનારના આણંદપુર ગામની સગીરાની છેડતી, કોડીનાર પંથકમાં આવારાતત્વો બેફામ, અવારનવાર બનતા છેડતીના બનાવોથી ભદ્ર સમાજ લાલઘૂમ
કોડીનાર, તા. ર : તાલુકાના આણંદપુર ગામની સગીરાની પેઢાવાડા ગામના શખ્સે છેડતી કર્યાની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. કોડીનારની કે.ડી. બારડ શાળામાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી આણંદપુરની સગીરાએ પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ સગીરા આણંદપુરથી કોડીનાર દરરોજ રિક્ષામાં શાળાએ જતી હોય રીક્ષા પેઢાવાડા ગામે પાણીના ટાંકા પાસે કૌશિક રણધીર વાળાની પાનની દુકાન પાસે જ ઉભી રહેતી હોય આ કૌશિક છેલ્લા ૪ મહિનાથી સીટી વગાડી હેરાન કરતો હોય ગઇકાલે રવિ નામના છોકરા સાથે મોબાઇલ નંબર લખેલ ચીઠ્ઠી મોકલાવી હોય સગીરાએ પેઢાવાડા ગામના કૌશિક રણધીર વાળા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોડીનાર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શાળાએ જતી સગીરાઓની છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. કોડીનાર તાલુકામાં હવસખોર, આવારાતત્વો બેફામ બની રહ્યા છે. અવારનવાર સગીર વયની વિદ્યાર્થીનીઓની છેડતીના બનતા બનાવોથી ભદ્ર સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે પોલીસ તંત્ર શાળાએ આવવા જવાના સમયે સીવિલ ડ્રેસમાં આવા આવારા તત્વો વિરૂદ્ધ વોચ રાખી કડક કાર્યવાહી કરે તેવી વાલીઓમાં માંગણી ઉઠવા પામી છે.
કોડીનાર પોલીસ સ્ટેશન પણ ઘણા લાંબા સમયથી પી.આઇ. જેવા અધિકારી વિના ઇન્ચાર્જથી ચાલી રહ્યું હોય તાલુકાભરમાં સતત ક્રઇમનો ગ્રાફ વધી રહ્યું હોય કોડીનારમાં સક્ષમ પોલીસ અધિકારીની નિમણૂંક કરવા લોકમાંગણી ઉઠવા પામી છે.