જુનાગઢના રણશીવાવ રાઉન્ડમાં માલધારીની ગાયોના મૃત્યુની તપાસ અંગે કમિટિની નિયુકતી
૧૦ દિવસમાં યોગ્ય તપાસ કરી રીપોર્ટ અપાશે
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨ : તાજેતરમાં રણશીવાવ રાઉન્ડમાં માલધારીની ગાયો વન કર્મચારીઓએ સિંહને ખવડાવી દીધી હોવા અંગે ફરિયાદ ઉઠતા જૂનાગઢ વન વિભાગ દ્વારા એક કમિટીની નિયુકતી કરવામાં આવી છે.
જૂનાગઢ ઉત્તર રેન્જના વિડીવાળી અને બેડાવાળી બીટના સરકયુલર રોડ પાસે ૩ ગાયનું સિંહ દ્વારા મારણ થયું હતું. આ દુર્ઘટના સિંહ તેમજ પશુઓના કુદરતી સ્વભાવના કારણે બની હતી. ત્યારે આ દુર્ઘટના અંગે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠતા જૂનાગઢ મુખ્ય વનસંરક્ષકશ્રી કે. રમેશ દ્વારા ખાસ તપાસ અંગેની કમીટી બનાવવામાં આવી છે.
આ કમીટીમાં જૂનાગઢ સંર્કલના ઇન્ચાર્જ એસીએફશ્રી જે.આર.પટેલ અને મોરબી ફોરેસ્ટ ડિવિઝનના શ્રી એસ.ટી.કોટડિયાની નિમણૂંક કરવામાં આવી છે. આ કમીટી દ્વારા ઉપ્ત બીટમાં થયેલ બનાવની તપાસ તેમજ ગાયના મારણ કેસમાં વનવિભાગની બેદરકારી અંગે ન્યાયિક તપાસ થશે. આ કમીટી દ્વારા યોગ્ય તપાસ કરી ૧૦ દિવસમાં રીપોર્ટ અપાશે.