જામનગરનાં કાલાવડમાં વ્યાજખોરોના ત્રાસથી ઝેર પી લેનાર યુવક સારવારમાં નિવેદનો લેવાયા
જામનગર, તા. ૧ : જામનગરના કાલાવડ માં વ્યાજખોરોના ત્રાસથી ઝેર પી લેનાર યુવક સારવારમાં છે અને પોલીસે નિવેદનો લઇને તપાસ હાથ ધરી છે.
કાલાવડના કૈલાસનગરમાં રહેતા પરેશ ધરમશીભાઇ સાવલિયા (૪ર)એ ગઇકાલે જસાપર ગામની સીમમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનાો પ્રયાસ કરતા સારવાર મટો જામનગરી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેની પાસેથી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં કાલાવાડ તાલુકાના ટોડા ગામના એક દરબાર અને મુળીલા ગામના એક દરબારના નામનો ઉલ્લેખ કરેલો છે. જેઓ પાસેથી સાડા ત્રણ વર્ષ પહેલા સાડા ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
જે રકમ વ્યાજ સહિત ચુકવી દીધી હોવા છતાં પણ બંને વ્યાજખોરો હેરાન-પરેશાન કરતા હોવાનું લખ્યું હતું. ઉપરાંત પોતે પૈસા પરત આપવા વધુ કમાવા માટે સુરત ચાલ્યો ગયો હતો. જયાં પણ હાલ લોકડાઉનની પરિસ્થિતિને લઇને પોતાના પત્ની અને બાળક સાથે કાલાવડ પરત ફર્યો હતો. દરમિયાન વ્યાજખોરો ફરીથી ત્રાસ ગુજારતા હતા અને પોતાની ખેતીની જમીન પણ પચાવી લીધી હતી.
તેમ છતાં પણ ત્રાસ ગુજારતા હોવાથી આખરે આત્મહત્યાનું પગલું ભરી રહ્યો છે. તેવો ઉલ્લેખ હોવાથી પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલ આ યુવાન બેશુધ્ધ છે.