દિલ્હીમાં યોજાનારા ભારતના તબીબોના સન્માન સમારોહમાં જામનગરના ડો. હિતેશ જાની સહિતના ૧૫ તબીબોનું સન્માન કરાશે
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨ : કોવિડ કાળના અનુભવ અને ભવિષ્યની ચિકિત્સા પદ્ધતિઓના વિષય પર દિલ્હીમાં કન્સ્ટિટ્યૂશન ક્લબમાં આજે ૨જી જુલાઈના દિવસે મહામંથન થઈ રહ્યું છે, જેની સાથો સાથ કોવિડ કાળ દરમિયાન આરોગ્ય તંત્રને મજબૂત કરવા તેમજ સ્વાસ્થ્ય જનજાગૃતિ વધારવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજાવનારા ભારતના ૧૫ તબીબોનું વિશેષ રૂપે સન્માન થવા જઈ રહ્યું છે, જેમાં જામનગરના વૈદ્ય હિતેશ જાની નું પણ સન્માન થઇ રહ્યું છે, અને તેઓએ જામનગરનું ગૌરવ વધાર્યું છે.
ᅠદિલ્હીમાં આજે ૨ જુલાઈના દિવસે દિલ્હી માં કોવિડ કાળના અનુભવ ઉપરાંત ભવિષ્યની ચિકિત્સા પદ્ધતિના વિષય પર મહામંથન થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય અને એડવોકેસી ક્ષેત્રમાં છેલ્લા આઠ વર્ષોથી કામ કરી રહેલી આ સંસ્થા દ્વારા સ્વસ્થ ભારત અને રાષ્ટ્રીય ચિકિત્સા દિવસના અવસરે દેશની સેવાભાવી ચિકિત્સકોની જુદી જુદી ત્રણ શ્રેણીઓમાં સન્માન કરવામાં આવી રહ્યું છે, જે પૈકીની એક શ્રેણીમાં જેમણે કોવિડ કાળ માં સેવા ભાવનો પરિચય આપ્યો છે, અને સ્વાસ્થ્ય તંત્ર ને મજબૂત કરવા માટે તેમજ સ્વાસ્થ્ય ક્ષેત્રે જનજાગૃતીᅠ લાવવાના ભાગરૂપે પોતાની મહત્વની ભૂમિકા નિભાવી છે, તેવા દેશભરના ૧૫ તબીબોને ‘સ્વાસ્થ ભારત સ્વાસ્થ્ય દૂત' સન્માનથી નવાજવામાં આવી રહ્યા છે.
જેમાં જામનગરના આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ આચાર્યશ્રી તેમજ પંચગવ્ય ક્લિનિકલના ચેરમેન તેમજ ગુજરાત સરકારના ગૌસેવા આયોગના વૈદ્ય હિતેશ જાનીનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે, અને તેઓએ જામનગરનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર દેશભરના ૧૫ તબીબો પૈકી તેઓ ગુજરાતમાંથી અને જામનગરમાંથી એકમાત્ર પસંદગી પામ્યા છે.