મોરબી ખાતે 'સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેયો' થીમ સાથે Statistics dayની ઉજવણી કરાઈ
મોરબી તા-૨ : ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭થી દર વર્ષે ૨૯ જુન પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબીસની જન્મતિથિને “Statistics day ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબી ખાતે જિલ્લા આયોજન અધિકારીની કચેરી અને જિલ્લા આંકડા અધિકારીશ્રીની કચેરીના સંયુકત ઉપક્રમે કલેકટરશ્રી આર.જે. માકડીયાના અધ્યક્ષસ્થાને 'સાતત્યપુર્ણ વિકાસના ધ્યેયો' થીમ સાથે Statistics day ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓ અને વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્ય માટે આંકડાની કામગીરી અને ભવિષ્યમાં તેની ઉપયોગીતા વિશે માર્ગદર્શન આપી આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને ઉપયોગી બને તે રીતે આયોજન કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.કે.બગીયાએ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા Statistics day ની થીમ સાતત્યપુર્ણ વિકાસના ધ્યેયો વિશે વિસ્તૃત સમજુતી આપી હતી. જેમાં ગરીબી, ભૂખમરો, જાતિય અસમાનતા, આર્થિક સામાજિક અને પર્યાવરણને લગતી તમામ બાબતોને વૈશ્વિક સ્તર પર ધ્યાનમાં રાખી તેમાંથી ઉદભવતી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે સાતત્યપુર્ણ વિકાસના ધ્યેયોના ૧૭ ગોલ્સ નકકી કરવામાં આવેલ છે. તેમ જણાવ્યું હતું.
આ તકે જિલ્લા આંકડા અધિકારીશ્રીએ તેમની કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતે સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ, યુ.એન. કોલેજના પ્રોફેસરશ્રીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.