આફ્રિકાના યુગાન્ડામાં ગુજરાતી પરિવાર દ્વારા દેવી ભાગવત કથા
વ્યાસાસને જીજ્ઞેશદાદા 'રાધે રાધે'
ભેંસાણ તા. ૨ : ઇસ્ટ આફ્રીકાના યુગાન્ડા દેશના કંપાલા ખાતે ગુજરાતી પરિવારો દ્વારા કાર્યરત શ્રી સનાતન ધર્મ મંડળ દ્વારા આગામી તા. ૨૫ ઓગષ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન શ્રીમદ્ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વ્યાસાસને જાણીતા કથાકાર પૂજન જીજ્ઞેશદાદા બીરાજીને કથાનું રસપાન કરાવશે.
યુગાન્ડાના કંપાલામાં આવેલ શ્રી સનાતન ધર્મ મંડળ મંદિરના હોલમાં આયોજીત આ કથા માટેનું શ્રીફળ મૂળ ભેંસાણ તાલુકાના ગળથ ગામના વતની અને હાલ સુરત સ્થિત અગ્રણી સમાજશ્રેષ્ઠી અને ગૌ પ્રેમી ચંદુભાઇ આસોદરીયાએ શ્રી સનાતન ધર્મ મંડળ, ઇસ્ટ આફ્રીકા વતી પૂજ્ય જીજ્ઞેશદાદા પાસેથી સ્વીકારેલ હતું.
આ કથા દરમિયાન રાત્રે વિવિધ કાર્યક્રમો પણ યોજાનાર છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી સનાતન ધર્મ મંડળના ટ્રસ્ટીઓ નટુભાઇ ઠક્કર, સુધીરભાઇ રૂપારેલીયા, પંકજભાઇ પટેલ, રાજુભાઇ વાયા, રજનીભાઇ ટેલર તેમજ એકઝીકયુટીવ કમિટિના સભ્ય પરેશભાઇ મહેતા, રમેશભાઇ હલાઇ, મયુરભાઇ આસોદરીયા, જાનીભાઇ, નીતીનભાઇ, હિતેષભાઇ ગોંડલિયા, પૂરનભાઇ, અનિલભાઇ ભીમાણી, ભાનુબેન ગૌસ્વામી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવી ભાગવતનું આયોજન સૌ પ્રથમ વખત જ આફ્રીકામાં થઇ રહ્યું છે.(૨૧.૧૮)