જામનગરમાં ૧૭ વર્ષના શુભમ્ ધામેચાનું અગાસી પર હીંચકા ખાવા ગયા બાદ પટકાતા મોત
મૃતક સગીર પરિવારનો એકનો એક પુત્ર હતો : રાજકોટમાં દમ તોડયો
રાજકોટ તા. ૨ : જામનગર પટેલ કોલોનીમાં અગાશી ઉપર હિંચકા ખાવા ગયા બાદ પટકાતા ૧૭ વર્ષના સગીરનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ જામનગરની પટેલ કોલોનીમાં રહેતો શુભમ્ વિપુલભાઇ ધામેચા (ઉ.૧૭) ગઇકાલે નિત્યક્રમ મુજબ અગાશી ઉપર હિંચકા ખાવા ગયો હતો ત્યારે તે અચાનક અગાશી પરથી પટકાતા તેને માથાની ડાબી બાજુ ઇજા થઇ હતી. અવાજ આવતા પાડોશીએ જાણ કરતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને શુભમને તાકીદે સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક શુભમ અભ્યાસ કરતો હતો. તેના પિતા જામનગરની એસબીઆઇ બેંકમાં નોકરી કરે છે. એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. સાજીદભાઇ તથા રાઇટર અનુજભાઇએ પ્રાથમિક કાગળો કરી જામનગર મોકલવા તજવીજ હાથ ધરી છે.