મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલ રીમાન્ડ પર : સાત આરોપીની જામીન અરજી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨ : ઝૂલતા પુલ કેસમાં સાત આરોપીઓની મોરબી કોર્ટમાં જામીન અરજી કરી છે. જયારે મુખ્ય આરોપી જયસુખ પટેલની ટ દિવસના રીમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા.
અજંતાના બે મેનેજર, ટિકિટ બારી ક્લાર્ક, સિકયુરિટીસ હિતના સાત આરોપીઓએ પોતના વકીલ મારફતે જામીન અરજી કરી હતી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલવાસ ભોગવી રહેલા નવ પૈકી સાત આરોપીઓએ ચાર્જશીટ રજૂ થયા બાદ આજે નામદાર મોરબી કોર્ટમાં જામીન મુક્ત થવા અરજી કરતા અદાલત દ્વારા આજે સુનાવણી હાથ ધરવામા આવનાર છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પોલીસ દ્વારા અજંતા ઓરેવા ગ્રુપના બે મેનેજર, ટિકિટબારી ક્લાર્ક, સિકયુરિટી સહિતના નવ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યા બાદ આ ચકચારી કેસમાં હાઇકોર્ટ સુધી જામીન માટે કાનૂની લડત બાદ આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચ્યા બાદ ચાર્જશીટ રજૂ થવાને પગલે ગઇકાલે નવ પૈકી સાત આરોપીઓ દ્વારા મોરબી કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.
વધુમાં આજે સાત આરોપીઓમાં ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બુકીંગ કલાર્ક અને સિકયુરિટી ગાર્ડ મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મનસુખ ચૌહાણ દ્વારા પોતાના વકીલ મારફતે જામીન અરજી કરવામાં આવતા આજે મોરબી કોર્ટ દ્વારા જામીન અરજી અંગે સુનાવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.