જૂનાગઢના વિધાતા મેરેજ બ્યુરોના સંચાલકનું લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ
સાથે કામ કરતી મહિલાને નોકરીમાંથી કાઢી મુકી માર પણ માર્યો
(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨ : જૂનાગઢના વિધાતા મેરેજ બ્યુરોના સંચાલક શખ્સે તેને ત્યાં લગ્ન કામકાજ સંભાળતી મહિલા પર દુષ્કર્મ આચરી બાદમાં નોકરીમાંથી કાઢી મુકી ધમકી આપી માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.
જૂનાગઢના જોશીપરા ખાતેના વિધાતા મેરેજ બ્યુરોના સંચાલક હિતેષ વડેરાએ હાલ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા એક ૩૨ વર્ષીય મહિલાને વર્ષ ૨૦૧૮માં લગ્ન કામકાજ માટે નોકરીએ રાખેલ.
તેમજ સંચાલકે મહિલાને મધુરમ વિસ્તારમાં રહેવા માટે મકાન પણ આપેલ. આમ હિતેષ વડેરાએ વિશ્વાસ કેળવી મહિલાને લગ્ન કરવાની લાલચ આપી પોતાની પત્નીને ડિવોર્સ આપી દઇશ અને પત્ની તરીકે રાખવાનું કહી મહિલા સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
આ પછી હિતેષ વડેરાએ લગ્ન ન કરતા મહિલાએ તેને લગ્ન માટેનું કહેતા આ ઇસમે તેણીને નોકરીએથી જતા રહેવાનું કહી બે-ત્રણ ઝાપટો મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગે ગત રાત્રે મહિલાએ ફરિયાદ કરતા બી-ડીવીઝન પીએસઆઇ ઓ.આઇ.સીદીએ તપાસ હાથ ધરી છે.