ખંભાળિયા પાલિકા દ્વારા રખડતા ઢોરને ભાણવડ મહાજન ગૌશાળાની મદદથી ત્યાં પહોંચાડવા આયોજન
પાંચ બળદોને પહોંચાડાયા
ખંભાળિયા તા.ર : શહેરમાં રખડતા ઢોરને કારણે નગરજનોને પરેશાની થતી હોય તાજેતરમાં પાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ ભાવનાબેન પરમારની અધ્યક્ષતામાં રખડતા ઢોર માટે ખાસ જોગવાઇનું આયોજન પણ કર્યુ હોય પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા ભાણવડ મહાજન ગૌ શાળાના મુકેશભાઇ સંઘવી તથા એનિમલ લવર્સ ગ્રુપના એ.આર.ભટ્ટ તથા એનિમલ કેર્સના દેસુરભાઇ ધમા તથા અશોકભાઇ સોલંકી તથા પાલિકા સેનીટેશન વિભાગના અધિકારીઓ રાજપારભાઇ ગઢવી તથા કિશોરસિંહ સોઢા, નઝીમ રુંઝા વિ. દ્વારા શહેરમાં રખડતા ઢોરને ખાસ પાંજરા ગાડીમાં પુરીને વ્યવસ્થિત રીતે ભાણવડ મહાજન ગૌશાળામાં પહોંચાડવા આયોજન કર્યુ હતુ.
આ પ્રવૃતિના ભાગરૂપે ગઇકાલે શહેરમાં રખડતા પાંચ બળદોને પાંજરા ગાડીમાં ભાણવડ પહોંચાડવામાં આવ્યા હતા. હવે પછી રોજ શહેરમાં જુદા જુદા સ્થળે રસ્તા પર રખડતા ગાય તથા ગૌવંશને પાંજરા ગાડીમાં રાખીને ભાણવડ મહાજન ગૌ શાળામાં પહોંચાડવામાં આવશે. જયાં ગૌશાળા ટ્રસ્ટીઓ દ્વારા તેને ઘાસચારો તથા રાખવાની વ્યવસ્થા પણ થશે.
આઉપરાંત અન્ય ગૌશાળાના ટ્રસ્ટીઓના સૌજન્યથી ખંભાળિયામાં બે સ્થળે રખડતા પશુઓ જેમાં એક સ્થળે ખુંટીયા તથા એક સ્થળે ગાયો તથા વાઇટડીઓને રાખવા માટે પણ આયોજન થયુ છે. જેથી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દુર થાય તથા ખુંટીયાનો ત્રાસ પણ દુર થાય ખંભાળિયા પાલિકાની આ ઝુંબેશ નાગરિકોમાં મુળ આવકારદાયક બની છે તથા માલીકીના ઢોર તે રખડતા પણ ઓછુ થશે.