ખંભાળીયા પાસે અકસ્માતમાં બાવાજી દંપતિ ખંડીત
ખંભાળીયા, તા. ૨ :. ખંભાળીયા દ્વારકા રોડ પર અત્રેથી સાત કિ.મી. દૂર ખોડીયાર મંદિર નજીક આજે સવારે બાર વાગ્યાના સુમારે મો.સા. પર જઈ રહેલ પંકજભાઈ નીમાવત (ઉ.વ.૫૦) તથા તેમના પત્ની આશાબેન નીમાવત (ઉ.વ.૪૫) તથા તેમનો ભત્રીજો કુશ આ ત્રણેય લોકો મોટર સાયકલ પર જતા હતા, ત્યારે એક કાર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પંકજભાઈ નીમાવત (ઉ.વ.૫૦)ને વધુ ગંભીર ઈજા થતા સારવાર અર્થે જામનગર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પાછળ બેઠેલ આશાબેન નીમાવત (ઉ.વ.૪૫)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતું. આ અકસ્માતમાં બાળક કુશને પણ સારવાર માટે જામનગર ખસેડવામાં આવેલ છે. મો.સા. ચાલક પંકજભાઈ નીમાવત પણ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યુ છે. પંકજભાઈ અત્રેના ગુગળી ચકલામાં પાનની કેબીનનો વ્યવસાય ચલાવે છે. સાથે રામધૂન પરિવારમાં પણ જોડાયેલ હોવાથી સારી લોકચાહના ધરાવે છે. આ ગંભીર અકસ્માતમાં બાવાજી દંપતી ખંડીત થતા બાવાજી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાય છે.