રાજુલાના ધાતરવડી સિંચાઈ યોજનાના અધિક મદદનીશ ઈજનેર પાસે આવક કરતા ૯૭.૭૧ ટકા રકમ વધુ હોવાનું ખૂલ્યુ
અમરેલી એસીબી ટીમે ગુન્હો નોંધીને તપાસનો ધમધમાટ
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧ :. અમરેલી એસીબીના પી.આઈ. રમેશભાઈ દવેએ જણાવ્યુ કે, રાજુલા તાલુકામાં ધાતરવડી સિંચાઈ યોજનાના અધિક મદદનિશ ઈજનેર તરીકે ફરજ બજાવતા અને હાલમાં નિવૃત થયેલા અધિકારી કાળુભાઈ શાર્દુળભાઈ રામ પાસે અપ્રમાણસર મિલ્કત હોવાની અમરેલી એસીબીને મળેલી ફરીયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આરોપીની કાયદેસરની આવક રૂ. ૭૧ લાખ ૪૪ હજાર ૫૧૬ હતી અને તેની સામે તેના દ્વારા રૂ. ૧ કરોડ ૩૮ લાખ ૭૮ હજાર ૨૯૧ ખર્ચ અને રોકાણ કરવામાં આવ્યુ હતું.તે તેમની આવક કરતા ૯૭.૭૧ ટકા વધુ છે. એસીબી દ્વારા તેના બેન્ક ખાતાના વ્યવહારોનની પણ ચકાસણી કરવામાં આવી હતી. જેમા પોતાના અને આશ્રિતોના ખાતામાં મળીને રૂ. ૨૨ લાખની રકમ જમા કરાવવામાં આવી હતી. ૬૧.૧૧ લાખ સ્થાવર અને જંગમ મિલ્કતોની ખરીદી પેટે વાપરવામાં આવ્યા હતા. ખાતામાં ૭૦ લાખ ઉપરાંતની રકમ હતી. આરોપીની સામે અમરેલી એસીબી દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.