મોરબી : કોંગ્રેસ ગાંધી જયંતીએ બાઈક રેલી યોજી પીપળી-જેતપર રોડના પ્રજાના પ્રશ્નને વાચા આપશે
મોરબી તા. ૧ : મોરબીનો પીપળી જેતપર રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય જે મામલે અનેક રજૂઆત છતાં હજુ રોડનું કામ કરવામાં આવ્યું નથી ત્યારે પ્રજાના પ્રશ્નને વાચા આપવા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતીના દિવસે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલની યાદીમાં જણાવ્યા અનુસાર પીપળી જેતપર રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જ્યાં ધંધા રોજગાર અર્થે પ્રતિદિન હજારો લોકો જતા હોય છે ઉપરાંત સિરામિક ઝોન હોવાથી કાર-બાઈકથી લઈને ભારે વાહનો પસાર થતા હોય છે એટલું જ નહિ આ રોડ પર અનેક ગામો આવેલ હોય જેથી પ્રતિદિન ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.
ખરાબ રોડને પગલે અકસ્માત પણ થતા હોય છે જેમાં નિર્દોષ માનવ જિંદગી હોમાઈ જતી હોય છે સરકાર લોકોને જુઠા વચનો આપી ચુંટણી સમયે જાહેરાત કરે છે ટેન્ડર નીકળ્યાના દાવા કરી લોકોને છેતરતા હોય છે ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રજાને સાથે રાખી, ગામના નાગરિકો અને સરપંચો સાથે તાત્કાલિક રોડ રીપેર થાય તેમજ નવો બને તેવી માંગ સાથે બાઈક રેલીનું આયોજન કર્યું છે.
રવિવારે સવારે ૦૮ :૩૦ કલાકે રામધન આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે અને બાદમાં રામધન આશ્રમ, મહેન્દ્રનગરથી બાઈક રેલી પ્રસ્થાન કરશે.