ઉનામાં આવતીકાલે સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં ભાજપ કાર્યકતાઓનું મહાસંમેલન : રૂદ્રાક્ષ સિનેમાનું ઉદ્ઘાટન
(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧ : પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે પધારી રહેલ છે. તેમને આવકારતા તડામાર તૈયારીએ આખરી ઓપ અપાય રહેલ છે. સી.આર.પાટીલની ઉપસ્થિતીમાં આવતીકાલે ભાજપ કાર્યકતાઓનું મહાસંમેલન યોજાશે. તેમજ સી.આર.પાટીલ હસ્તે રૂદ્રાક્ષ સિનેમાનું ઉદઘાટન કરાશે.
આવતીકાલે બીજી ઓકટોબર રવિવારે ભા.જ.પા.ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પધારી રહ્યા છે. જેને લઇને પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ૯૩-ઉના વિધાનસભા ભા.જ.પ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય રહેલ છે.
પ્રદેશ ભા.જ.પા. અધ્યક્ષ સી.આર.પાટીલ તા. ૨ રવિવારે ઉનામાં કાર્યકર્તા મહાસંમેલન તથા ત્યારબાદ રૂદ્રાક્ષ સિનેમાના ઉદઘાટન કરાશે. આ આયોજન માટે ભા.જ.પા. નાં ચુંટાયેલા પદાધિકારીઓ, સંગઠનો, હોદેદારો અને બુથના પ્રમુખ અને કાર્યકરોની મીટીંગમાં પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, જીલ્લા ભા.જ.પાનાં મહામંત્રી વિશાલભાઇ વોરા, તાલુકા ભા.જ.પાના ઉનાના પ્રમુખ બાબુભાઇ ચૌહાણ, ગીરગઢડા તાલુકા પ્રમુખ કાળુભાઇ રૂપાલા તથા શહેર ભાજપના પ્રમુખ મિતેશભાઇ શાહ સહિત ૪૫૦થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કાર્યકરોને ઉમટી પડવા લોકોને હાંકલ કરાયેલ.
ઉના શહેરનાં ત્રિકોણબાગ ચોક સામે આવેલ રાવણાવાડીમાં બપોરે ૧૧ વાગ્યે મળનાર કાર્યકર્તા મહાસંમેલનમાં ૧૦ હજારથી વધુ કાર્યકર્તાઓ ઉમટી પડશે. તેમ ભાજપની યાદીમાં જણાવાયું છે.