નર્મદા છલોછલ પણ ભુજ તરસ્યું: પાણી પહોંચાડવાના સરકારી દાવાઓ ‘બાબુશાહી'માં ફેલ
ભાજપી નેતાઓમાં ચર્ચા, કોણે પાણી કાપ કર્યો? તહેવારો વચ્ચે ગૃહિણીઓ પાણીની સમસ્યાથી પરેશાન
(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧: એકબાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો વાયદો પૂરો કરે બીજી બાજુ ભુજ પાણી વગર તરસ્યું છે. હા, આ વાસ્તવિકતા છે. છેલ્લા ઘણા સમયથી ભુજની પાણી ની સમસ્યા વિકરાળ બની છે. ભુજ શહેરને દરરોજ અપાતા નર્મદા ના ૫૫ એમએલડી પાણીમાં એકાએક અડધા થી વધુ કાપ મૂકી દેવાયો છે, અત્યારે માંડ ૨૦ એમએલડી પાણી અપાય છે. પરિણામે ભુજમાં અત્યારે પાંચ થી સાત દિવસે એક વખત પાણીનું વિતરણ થાય છે. નર્મદા છલોછલ છે. છતાંયે પાણી કાપ શું કામ? ભુજ નગરપાલિકા ના ભાજપ ના શાસકો ની ચર્ચા પ્રમાણે આ પાણી કાપ માનવસર્જિત છે. કોઈના ઈશારે બાબુશાહીનો ભોગ ભુજના લોકો બની રહ્યા છે. અત્યારે તહેવારોના દિવસોમાં પાણી કાપના કારણે લોકોમાં ભારે બૂમરાણ છે.