મોરબી ખાતે મહિલાઓ માટે અભયમ હેલ્પલાઈનનો પ્રારંભ કરાવતા જયોતિબેન પંડ્યા- નરેન્દ્રભાઈ સોલંકી
રાજકોટઃ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા રાજયની બહેનો માટે ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા મહિલાઓને સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે આ હેલ્પલાઈનની વધુ જાણકારી માટે રાજય સરકાર દ્વારા જીલ્લા સ્તરે મહીલા સંમેલનોનું આયોજન કરી આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે તે અંતર્ગત મોરબી જીલ્લા ખાતે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી તથા જયોતીબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતીયા તેમજ ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતુ. જેનો દિપપ્રાગટ્ય નરેન્દ્રભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યુ હતું. પ્રાસંગિક ઉદ્બોધન જયોતીબેન પંડ્યાએ કર્યું હતું.
આ તકે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મહીલાઓને પુરતા સન્માનની સાથે વિવિધ યોજનાઓનો લાભ મળે અને મહીલાઓ પગભર થાય તેવા આશયથી મિશન મંગલમ અને સખીમંડળ દ્વારા બહેનોને પગભર બનાવવા 'બેટી બચાવો' નારી ગૌરવ નિતિ, મહીલાઓનું ગૌરવ, જાતીય સમાનતા, બાલીક સમૃધ્ધિ યોજના, વિધવાસહાય અને તાલીમ યોજના, સરસ્વતી સાધના યોજના, કુંવરબાઈનું મામેરૂ, સાત ફેરા સમુહ લગ્ન, સખીમંડળ યોજના હાલ કાર્યરત છે. તેમજ દીકરીઓને અભ્યાસ માટે વિનામુલ્યે એસ.ટી.પાસ અને સાયકલની સુવિધા પણ ભાજપની સરકારે પુરી પાડી છે. ઉજજવલા યોજના અંતર્ગત ૩ કરોડ બહેનોને રાંધણ ગેસના જોડાણો આપવામાં આવેલ છે. અભયમ હેલ્પલાઈનથી બહેનોને વધુ પ્રમાણમાં સુરક્ષા મળશે. એમ નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું.(૩૦.૮)