ખંભાળિયામાં ખાનગી હોસ્પિટલના યુવા તબીબ હની ટ્રેપમાં ફસાયા: ત્રણ શખ્શોએ લાખો ખંખેર્યા
ઉછીના ઉધરા કર્યા -પોતાની પત્નીના દાગીના પણ વેચી 11 લાખ પહોંચતા કર્યા :શખ્સોએ દર મહિને પણ વસુલાત કરી
જામનગરઃ ખંભાળિયામાં ખાનગી હોસ્પિટલ ધરાવતા એક યુવા તબીબને હની ટ્રેપમાં ફસાવી યુવતિ તેમજ તેના ત્રણ સાગરીતોએ લાખો રૂપિયા પડાવી લેતા અંતે મામલો પોલીસ દફતર પહોચ્યો છે. હનીટ્રેપ ઉપરાંત અન્ય બે શખ્સોએ સારવારમાં રહેલી બેદરકારીના બહાના હેઠળ પણ તબીબને ખંખેરી લીધો હોવાની વિગતો બહાર આવી છે .
આ અંગે મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં અગાઉ નગર ગેઇટ વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ અત્રે જડેશ્ર્વર રોડ પર ખાનગી હોસ્પિટલ ધરાવતા તબિબ ડો.પારસભાઇ વિનોદભાઇ વિઠ્ઠલાણી પાસે આશરે ચારેક વર્ષ પૂર્વે સરકારી હોસ્પિટલમાં ખુશ્બુ મીથીલેસસીંગ નાામની યુવતિ સારવાર અર્થે આવી હતી. જે તે સમયે તેણીને ટાઇફોઇડની બિમારીની સારવાર અપાયા બાદ તેણીને સારૂં થઇ ગયું હતું. પરંતુ થોડા સમય બાદ ખુશ્બુએ વાત-ચીતનો વ્યહાર કેળવીને તેણીની તબિયત ખરાબ હોવાનું જણાવી, ડો.પારસભાઇ વિઠ્ઠલાણીને પોતાના ઘરે બોલાવ્યા હતાં. આ બાબતનો ગેરફાયદો ઉઠાવીને આશરે બે-ત્રણ વર્ષ પહેલા તેણીએ ડો.વિઠ્ઠલાણી પાસે પૈસાની માંગણી કરી હતી અને જો તેઓ પૈસા નહિં આપે તો તેમની વિરૂઘ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી, તેમને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા આખરે ડોકટરે તેઓના સગા-સંબંધીઓ પાસેથી રોકડ રકમ ઉછીની લઇ, પોતાના પત્નીના દાગીના વેંચી કુલ 11 લાખ ખુશ્બુને પહોંચતા કર્યા હતાં.
ત્યારબાદ ફેબ્રુઆરીથી ડો.પારસ વિઠ્ઠલાણીએ અત્રે જડેશ્ર્વર રોડ પર ખાનગી દવાખાનું ચાલુ કરતા અહિં અબ્દુલ ઇબ્રાહીમ શેઠા તેમની પાસે આવ્યો હતો અને અગાઉની બાબતે બ્લેકમેઇલ કરીને દર મહિને બાર હજાર તેમની પાસેથી વસુલ કરતો હતો.આ ઉપરાંત તેમણે સાડાત્રણ લાખ રોકડા ડોકટરને ડરાવી-ધમકાવીને પડાવી લીધા હતાં. જેમ જેમ બ્લેકમેલની રકમ વધતી ગઇ તેમ પરેશાન થયેલા તબીબે ખંભાળિયા પોલીસનો સંપર્ક કર્યો હતો. હનીટ્રેપ ઉપરાંત અન્ય બે કિસ્સામાં પણ તબીબ પાસે રૂપિયા ખંખેરી લેવાયા હોવાનું પણ બહાર આવ્યું છે.
ગત સપ્ટેમ્બરમાં અહિંના પ્રતાપસિંહ જાડેજા નામના એક આસામીનું અકસ્માત બાદ વિઠ્ઠલાણી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ જામનગરની હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃતકના પુત્ર દિલીપસિંહ જાડેજાએ ડો.પારસભાઇ પાસે આવીને તેમની બેદરકારીથી મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરી, દિલીપસિંહે સાડા ચાર લાખ પડાવી લીધાનું જાહેર થયું છે.
આ પછી ગઇ તા.3-7-2017ના દિને તાલુકાના વાડીનાર ગામના રહીશ આબીદ જુનસ સંઘારે પણ હાથની સારવાર કરાવ્યા બાદ યેનકેન પ્રકારે ધમકી આપી, બદનામ કરવાની ચીમકી આપીસિતેર હજારની માંગણી કરી હતી.
આમ, સમયાંતરે ડોકટરને તેમના તબિબિ વ્યવસાયમાં બદનામ કરવાની ધમકી આપી, કુલ 19 લાખ 48 હજારની રકમ બળજબરીપૂર્વક કઢાવવા સબબની ડો.પારસ વિઠ્ઠલાણીની ફરિયાદ પરથી પોલીસે અબ્દુલ ઇબ્રાહીમ શેઠા, ખુશ્બુ મીથીલેસસીંગ, દિલીપસિંહ પ્રતાપસિંહ જાડેજા અને આબીદ જુનસ સંઘાર સામે આઇપીસી કલમ 384, 386, 389, 506(ર), 120 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પીઆઇ એન.આઇ. રાઠોડે હાથ ધરી છે.