સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

જેતપુરની જનતાને પોરબંદરના ગુંડાતત્વોના ત્રાસથી છોડાવીને ન્યાય આપવા માંગણી

વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા રાજકોટના વિજયભાઇ વાળા

રાજકોટ, તા. ૧ : રાજકોટના માલવીયાનગર પી.ડી. માલવીયા કોલેજ પાછળ રહેતા વિજયભાઇ વાજસુરભાઇ વાળાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનેે પત્ર પાઠવીને જેતપુરની જનતાને પોરબંદરના ગુંડાતત્વોના ત્રાસથી છોડાવીને ન્યાય આપવા માંગણી કરી છે.

વિજયભાઇ વાળા (મો. ૯૩૭૪૧ ૧૧૧૧પ) એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, જેતપુરમાં વિનાયક ફાયનાન્સ કંપનીના નામે નાણાકીય ધીરધાર (વ્યાજે પૈસા લેવાના તથા આપવાના) નો ધંધો કરનાર ભાગીદાર શૈલેષભાઇ રામદેવપુત્ર અને તેમના ભાગીદારો વિનાયક ફાયનાન્સના નામે છેલ્લા દસ વર્ષથી જેતપુર શહેરમાં નાણા ધીરધારનો વ્યવસાય કરતી હતી. આ ફાયનાન્સ કંપની ઉંચા વ્યાજની લાલચ આપીને કરોડો રૂપિયાની ડીપોઝીટો જેતપુરની પ્રજા તથા ઉદ્યોગપતિઓ, વિધવા બહેનો તેમજ નોકરીયાત લોકો તથા મજુર લોકોની આ પેઢીમાં ડીપોઝીટો આપેલી હતી. તેમજ ઉપરોકત નાણા જેતપુર પ્રજાને ખૂબ જ ઉંચા વ્યાજે ધિરાણ કરતા હતાં છેલ્લા એકાદ વર્ષ પહેલા વિનાયક ફાયનાન્સના ભાગીદાર શૈલેષભાઇ રામદેવપુત્ર પોતાની ઓફીસને તાળા મારીને ભાગી ગયેલ હતાં.

જે આશરે ૩૦૦ કરોડ જેવી હતી જે ડીપોઝીટો જેતપુરના ડીપોઝીટરોને પરત આપવાની હતી, પરંતુ આ ડીપોઝીટ પરત ચૂકવતા નથી અને ઉલટાનું પોરબંદરની ગેંગને પોતાના રૂપિયાની ઉઘરાણીનો હવાલો આપી જેતપુર શાંતિપ્રિય જનતાને ધાક-ધમકી આપી ડરનો માહોલ ફેલાવે છે અને આ પોરબંદરના ગુંડાતત્વો જેતપુર શહેરની અંદર પોતાનું હેડ કવાર્ટર બનાવી જેતપુરની ભોળી પ્રજાને મારકૂટ કરીને તેમની પાસેથી તેમની માલીકીની મિલ્કત લખાવી લઇને તેમજ તે મિલ્કતનો કબજો લઇને તેમના માણસોને સોંપી આપે છે.

તેમજ પ્રજાને તેમની ઘરે આ પોરબંદરની ટોળકીના માણસો બે સ્કોરપીયો ગાડી લઇ તેમની મિલ્કતોને તાળા મારી મારકૂટ કરી ધાકધમકી આપીને પોતાનો રોફ જમાવી પ્રજામાં ભયનો માહોલ ફેલાવે છે. તેમજ સ્થાનિક તંત્ર પણ આ બનાવો બાબતે યોગ્ય કાર્યવાહી કરવા તૈયાર છે, પરંતુ જેતપુરની શાંતિપ્રિય પ્રજા આવા ગુંડાતત્વો સામે ફરીયાદ કરવા કોઇ તૈયાર થતું નથી. તેથી પ્રજામાં ડરનો માહોલ છે. ઉપરોકત બનાવ સિવાયના બનાવોમાં પણ આ પોરબંદર ગુંડાતત્વોની ગેંગ જેતપુરની પ્રજાજનોને અવાર-નવાર મિલ્કતના હવાલા કબાલામાં પગ પેશારો કરતી આવી છે.

કોઇ આપઘાત કે અઘટીત  બનાવ ન બને તે માટે તાત્કાલીક મુખ્યમંત્રી કાર્યાલય ઓફીસ તરફથી કડક કાર્યવાહીના આદેશો છોડી જે તે ડીપાર્ટમેન્ટને યોગ્ય કાર્યવાહી કરવાનો હુકમ કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રાજકોટના વિજયભાઇ વાજસુરભાઇ વાળાએ માંગણી કરી છે.

(1:46 pm IST)