કરોડરજ્જુની સફળ સર્જરી માટે સોમનાથ મહાદેવને અડધો ટન કેસર કેરીના રસનો અભિષેક
અમદાવાદના અવનીશભાઇ નાગોરીએ માનતા પુરી કરવા મનોરથ કયો : સોમનાથ મહાદેવને ૪૦૦ કિલો કેરીના રસનો અભિષેક
રાજકોટ, તા.૧ : બાર જયોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવને ૪૦૦ કિલો કેરીના રસનો અભિષેક તથા કેરીનો શણગાર કરાયો હતો. અમદાવાદના ઇસનપુરમાં રહેતા અને સોમનાથ મહાદેવના પરમ ભભકત અવનીશભાઇ નાગોરીએ ગીરની કેસર કેરીનો મનોરથ કર્યો હતો. પોતાની કરોડરજ્જુની સર્જરી સફળ રહેતા અવનીશભાઇએ માનતા પૂરી કરવા માટે આ મનોરથ કર્યો હતો.
કેરીના અભિષેકના આ અદ્ભૂત દૃશ્યો જોઇને ભકતો ભાવવિભોર બન્યા હતા. અવનીશભાઇ અને તેનો પરિવાર અવારનવાર સોમનાથ દર્શને આવે છે. વર્ષ ર૦૧૩માં તેમની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી હતી. તે સર્જરી સુખરૂપ પાર ઉતરવા માટે તેઓએ સોમનાથ મહાદેવની માનતા માની હતી.
અગાઉ સોમનાથ મહાદેવની આરતી દરમિયાન તેમણે મનોમન સંકલ્પ કર્યો હતો કે, હું સોમનાથ મહાદેવની કેરી મનોરથની પૂજા કરીશ. જે અંતર્ગત ગઇકાલે સવારે ૧૧ વાગ્યે કેસર કેરીના રસનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧ર વાગ્યા પછી ભકતો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં.