સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st June 2018

જળ સંચય અભિયાનથી પાણીના તળ ઉંચા આવશે, જમીનમાં ખારાશ ઘટશે : બાબુભાઇ બોખીરિયા

ખંભાળિયાના રામનાથ મંદિરે સુજલામ - સુફલામ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ : ૧૦૮ દંપતિ દ્વારા નર્મદા જળપૂજન

ખંભાળિયા - દેવભૂમિ દ્વારકા તા.૧ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જળ સંચય અભિયાન પર્ણાહૂતિ કાર્યક્રમ ખંભાળીયાના રામનાથ મંદિર ખાતે રાજયના પુર્વ મંત્રીશ્રી બાબુભાઇ બોખરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. પૂર્વ મંત્રીશ્રી બોખીરીયાએ જણાવ્યું કે આ સરકાર આફત ને અવસરમાં પલટતી સરકાર છે. પાણીની આફતને અવસરમાં પલટાવી જળ અભિયાનની શરૂઆત કરાવી છે. પૃથ્વીમાં પાંચ તત્વો પૈકી પાણી મહત્વનું છે. જેનો સંગ્રહ કરવો, જાળવવું ખુબ જ અનિવાર્ય છે. ૨૦૦૧થી નરેન્દ્રભાઇ મોદીની સરકાર આવી ત્યારથી ચેકડેમો, જળાશયો, નહેરોના અનેક કામો થયા છે. રાજય સરકારના આ અભિયાનથી પાણીનો વધુ સંગ્રહ થશે પરિણામે પાણીના તળ ઉંચા આવશે, જમીનમાં ખારાશ ઘટશે, ખેતરમાં માટી પાથરવાથી જમીન ફળદ્રુપ થશે તેમજ ખેડુતોની આવક બમણી થશે તેમ જણાવ્યું હતું.

જિલ્લાના પ્રભારી સચિવ અને સેટમેન્ટ કમિશનરશ્રી નલીન ઠાકરે જણાવ્યું કે ખેડુતો અને સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી આ અભિયાન સફળ થયું છે. આગામી ચોમાસામાં વધુ પાણીનો સંગ્રહ થશે. જેનો લાભ ખેડુતોને તથા લોકોને થશે.

કલેકટરશ્રી જે.આર. ડોડીયાએ જણાવ્યું કે જિલ્લામાં તા.૧-૫-૨૦૧૮ થી ૩૧-૫-૧૮ સુધી જિલ્લાના ૪ તાલુકાના ર૬૬ ગામોમાં કામગીરી કરવામા આવેલ છે. ૬૪૨ કામોના આયોજન સામે ૭૦૭ કામો કરી ૧૧૦ ટકા સિધ્ધી હાંસલ કરેલ છે. ૧૬.૭૭ લાખ ઘન મીટર માટી કામ થયેલ છે આશરે ૧૫૦૦ હેકટરમાં માટી પાથરીને જમીનની ફળદ્રુપતા વધારેલ છે.

આ કાર્યક્રમની શરૂઆતમાં ૧૦૮ દંપતિ દ્વારા નર્મદા જળ પૂજન કરવમાં આવ્યું હતું. આ જળને મહાનુભાવો દ્વારા ખંભાળીયાની ઘી નદીમાં કળશમાંથી નર્મદા જળ પધરાવવાની ક્રિયા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જળ અભિયાનમાં સહભાગી થયેલ ટાટા કેમીકલ્સ, જી.આર. ઇન્ફ્રા પ્રોજેકટ, આશાપુરા માઇન્સ, એસ્સાર ઓઇલ, આર.એસ.પી.એલ., બી.એલ.એ.કોક લી., હોટેલ એશોશીએશન દ્વારકા, શ્રી જલારામ સત્સંગ મંડળ ખંભાળીયા, પાવરીકા કંપની, દિગ્વિજય સિમેન્ટ વગેરેના પ્રતિનિધિઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરયા હતા.

જિલ્લા માહિતી કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલ કામગીરીનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દેરામોરા પ્રા.શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત તથા આર.એન. વારોતરીયા પ્રા.શાળા તથા કોલવા પ્રા.શાળાની બાળાઓ દ્વારા રાસ ગરબા રજુ કરવામાં આવ્યા હતા. આભારવિધિ ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ઘેટીયા દ્વારા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન શ્રી જયોતિશ ચૌધરીએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઇ ચાવડા, ખંભાળીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મશરીભાઇ નંદાણીયા, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ખીમભાઇ જોગલ, નગરપાલિકા પ્રમુખ શ્રી શૈલેષ કણઝારીયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા શ્રી મયુરભાઇ ગઢવી, અગ્રણી શ્રી પાલાભાઇ કરમુર, શ્રી હરીભાઇ નકુમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાવલ, નિવાસી અધિક કલેકટરશ્રી વ્યાસ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પટેલ, પ્રાંત અધિકારીશ્રી જોશી તેમજ અગ્રણીઓ નગરજનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.

(10:47 am IST)