જુનાગઢમાં કોરોના કાળ વચ્ચે પણ તંત્ર ખડેપગેઃ વધુ ૩૯ શખ્સો સામે કાર્યવાહી
સંક્રમણ અટકાવવા જાહેરનામા કફર્યુ હોવા છતાં લોકોની લાપરવાહી
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ : સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ માજા મુકી સંક્રમણ અટકાવવા માટે કડક નિયંત્રણો લાદવામાં આવેલ છે છતાં લોકોની લાપરવાહી જોવા મળી રહી છે.
જુનાગઢ શહેરમાં કોરોનાના કેસ વધે નહી અને સંક્રમણ અટકે તે માટે કલેકટર ડો. સૌરભ પારધી સહિતના અધિકારીઓ વગેરે લોકોને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સહિતની અપીલ કરી રહયા છે.
જુનાગઢમાં કોરોના હાવી થાય નહિ તે માટે ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચનાથી એસપી રવિ તેજા વાસમ સેટી દ્વારા કફર્યુ અને જાહેરનામાના પાલન માટે સતત દોડધામ કરવામાં આવી રહી છે.
જુનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસનો કાફલો ખડેપગે રહીને પેટ્રોલીંગ સહિતના પગલા લઇ રહેલ છે.
દરમિયાન પોલીસે જુનાગઢમાં વધુ ૩૯ શખ્સો સામે રાત્રીના સંચારબંધી અને જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.
જેમાં એ ડીવીઝન પોલીસે ૧૪ બી ડીવીઝન પોલીસે ૧૩ અને સી ડીવીઝન પોલીસે ૯ ઇસમો સામે પગલા લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.