સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st April 2023

જેતપુરની માસુમ બાળકીની દુષ્‍કર્મના ઇરાદે હત્‍યા કરનાર નરાધમ રાજેશ ચૌહાણની ધરપકડ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ : જેતપુરમાં દુષ્‍કર્મના ઇરાદે માસુમ બાળાની હત્‍યા કરનાર નરાધમ શખ્‍સની પોલીસે ધરપકડ કરી રિમાન્‍ડ લેવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભાદરના સામાકાંઠા વિસ્‍તારમાં આવેલ જનકલ્‍યાણનગરમાં રહેતા પરપ્રાંતીય પંકજસીંગ (મુળ બિહાર)ની ૩ વર્ષની પુત્રી રીયા કુમારી ઘર પાસે રમતી હોય જે અચાનક ગુમ થઇ જતાં તેની શોધખોળ કરવા લાગેલ તેની ભાળ નહી મળતા રીયાના પિતા શહેર પોલીસ સ્‍ટેશને આવી જાણ કરતા સીટી પી.આઇ. એ.આર.હેરમાએ સ્‍ટાફ સાથે તેના ઘર પાસે તપાસ કરતા એવું જાણવા મળેલ કે તે માસુમ બાળક કોઇ એક શખ્‍સ સાથે જતી હતી. જેથી પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા તે શખ્‍સ નજીકના કારખાનામાં જ કામ કરતો હોય પરંતુ તે કારખાનામાં હાજર ન મળી આવેલ.

દરમિયાન વસુંધરા નામના કારખાના પાસેથી એક પ્‍લાસ્‍ટીકના કોથળામાંથી માસુમ રીયાની લાશ મળી આવતા. બાળકી સાથે કંઇક અજૂગતુ બન્‍યાની શંકાએ પોલીસે મૃતદેહને પી.એમ. માટે સરકારી હોસ્‍પિટલે ખસેડેલ અને પોલીસ તપાસમાં આ બાળકીની દુષ્‍કર્મના ઇરાદે હત્‍યા થયાનું ખુલ્‍યું હતું.

દરમિયાન જેતપુરના ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા તથા જેતપુરના પીઆઇ હેરમા અને રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.વી.ઓડેદરા સહિતના સ્‍ટાફે સીસીટીવીમાં દેખાયેલ પરપ્રાંતીય શખ્‍સ રાજેશ ગોર ચૌહાણ (રહે. મૂળ બિહાર, હાલ જેતપુર)ને દબોચી લઇ પૂછતાછ કરતા તેણે આ માસુમ બાળાની દુષ્‍કર્મના ઇરાદે હત્‍યા કર્યાની કબૂલાત આપી હતી.

પોલીસ સમક્ષ પકડાયેલ રાજેશે એવી કબુલાત આપી હતી કે પોતે માસુમ બાળાને બદકામના ઇરાદે ફોસલાવી અપહરણ કરી અવાવરૂ જગ્‍યાએ લઇ ગયો હતો ત્‍યાં માસુમ બાળા રડવા લાગતા પોતે ગભરાય ગયો હતો. અને ઉશ્‍કેરાટમાં માસુમ બાળાનું ગળાટૂંપો દઇ છાતી ઉપર પથ્‍થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી બાળાની લાશને કોથળામાં નાખી ફેંકી દીધી હતી.

માસુમ બાળાની હત્‍યા કરનાર રાજેશ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે. આવતીકાલે તેને રિમાન્‍ડ અર્થે કોર્ટમાં રજૂ કરાશે. વધુ તપાસ જેતપુરના પીઆઇ હેરમા ચલાવી રહ્યા છે.

(3:06 pm IST)