છે કોઈ મરદનો ફાડિયો? જો આ થાળી ૨૫ મિનિટમાં પતાવી દેશે તો ૫૧૦૦ રૂપિયાનું ઈનામ
જોધપુરમાં એક રેસ્ટોરન્ટમાં છપ્પન ભોગની થાળી મળે છેઃ આ રેસ્ટોરન્ટના માલિકે ગ્રાહકો માટે અનોખી શરત રાખી
જોધપુર,તા. ૧ : પヘમિ રાજસ્થાનના જોધપુર શહેરનું નામ આવતા જ આપણને દાળ બાટી, ચુરમા, મિર્ચી વડા અને અહીંની મીઠાઈઓનો સ્વાદ યાદ આવે છે. આ જોધપુર શહેરમાં ઘણી એવી વાનગીઓ છે, જે તમને દુનિયામાં ભાગ્યે જ ક્યાંય જોવા મળશે. અમે તમને જોધપુરની એક રેસ્ટોરન્ટમાં લઈ જઈશું, જયાં તમને છપ્પન ભોગની થાળી મળશે. જણાવી દઈએ કે, આ છપ્પન ભોગની થાળી ભગવાન માટે નથી પણ માણસો માટે છે.
જોધપુરમાં એક લોક કહેવત છે કે, ખાંડે એટલે કે જોધપુરનો પથ્થર અને ખાવણ ખંડે એટલે કે અહીંના ખાવાના શોખીન લોકો ખૂબ જ પ્રખ્યાત છે. તેવી જ રીતે, જોધપુરના પાંચમા રોડ નજીક રાસ્થલ રેસ્ટોરન્ટમાં ૫૬ સ્વાદિષ્ટ વાનગીઓની પ્લેટ છે, જે હવે જોધપુરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રાસ્થલ રેસ્ટોરન્ટની આ પ્લેટમાં ૫૬ પ્રકારની વાનગીઓ જોવા મળે છે. આ ૫૬ વિવિધ વાનગીઓમાં મીઠાઈઓ, શાકભાજી, નમકીન ભાત અને પીણાંનો સમાવેશ થાય છે. થાળી ઓર્ડર કર્યાના ૪૦ મિનિટ પછી તમને આ થાળી મળશે. માત્ર ૨૧૦૦ રૂપિયાની આ થાળીમાં ૫ થી ૬ લોકો આરામથી ભોજન કરી શકે છે.
રેસ્ટોરન્ટના ડાયરેક્ટર અર્પિતનું કહેવું છે કે, આ થાળી બનાવવા પાછળનો તેમનો ઉદ્દેશ્ય જોધપુરના ફૂડ લવર્સને એક જ છત નીચે ખાવાની તમામ ફલેવર ઉપલબ્ધ કરાવવાનો છે. આ થાળી પરિવારના તમામ સભ્યો માટે પૂરતી છે. ખાસ વાત એ છે કે, જો કોઈ વ્યક્તિ ૨૫ મિનિટમાં આ થાળી એકલા ખાય છે તો તેને ન માત્ર એક થાળી મફતમાં આપવામાં આવશે, પરંતુ તેને ૫,૧૦૦ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે. અર્પિત કહે છે કે, તેણે આ ૫૬ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવા માટે ખાસ પ્રશિક્ષિત રસોઈયાને રાખ્યા છે.