જસદણમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા : રોકડ અને દાગીના સહીત પ.૮૦ લાખની મતા ઉસેડી ગયા
કેબલના ધંધાર્થી નરેન્દ્રભાઇ મેર પરિવાર સાથે લગ્નમાં ગયા'તા અને તસ્કરો ઘર સાફ કરી ગયા
રાજકોટ, તા., ૧: જસદણમાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને દાગીના સહીત પ.૮૦ લાખની મતા ચોરી કરી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણમાં શ્રી હરીનગર, ગીતાનગર પાછળ, ખાનપર રોડ શકિત મોલવાળી શેરીમાં રહેતા અને કેબલનો વ્યવસાય કરતા નરેન્દ્રભાઇ લખમણભાઇ મેરના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી મેઇન દરવાજાનો નકુચો તોડી રૂમમાં અંદર રહેલ તિજોરી (કબાટનો) લોક તોડી તથા તિજોરીની અંદર રહેલ લોકર તોડી લોકરમાં રહેલ રોકડા રૂપીયા ર લાખ તથા સોના-ચાંદીના દાગીના કિંમત ૩.૮૦ લાખ મળી કુલ પ.૮૦ લાખની મતા ચોરી કરી ગયા હતા.
મકાન માલીક નરેન્દ્રભાઇ મેર તથા તેના પરીવારજનો લગ્ન પ્રસંગમાં મકાનને તાળા મારી બહારગામ ગયા હોય એ દરમિયાન બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘર સાફ કરી ગયા હતા. આ અગે નરેન્દ્રભાઇની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.