પોરબંદરમાં બેંકોમાંથી ઓછા વ્યાજદરે લોન અંગે પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ
પોરબંદર,તા. ૧ : પોલીસ દ્વારા બેંકોમાંથી મળતી ઓછા વ્યાજદરે લોન/ ધિરાણ માટે જાહેર જનતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન તા. ૪ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે પોલીસ હેડ કવાર્ટસ ખાતે રાખેલ છે.
આમ જનતાને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવા તેમજ નાણા ધિરધારના કાયદાઓથી માહિતગાર કરવા તેમજ લોકજાગૃતિ માટે તથા સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સરળતાથી કેવી રીતે લોન મેળવી શકે તે બાબતે વાકેફ કરવાના ઉદ્દેશથી મયંકસિંહ ચાવડા પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ, જૂનાગઢની અધ્યક્ષતા ડો. રવિ મોહન સૈની પોલીસ અધિક્ષક પોરબંદર દ્વારા ‘જાહેર લોક જાગૃતિ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવેલ છે.
જાહેર જનતાને હાજર રહેવા અને આ ‘જાહેર લોક જાગૃતિ કાર્યક્રમ'માં સામાન્ય પ્રજા વ્યાજખોરી ચુંગાલમાં ન ફસાય તે સારૂ વિસ્તૃત રીતે સરળ તથા ઓછા વ્યાજ દરે લોન/ધિરાણ આપતી સંસ્થાઓ/ બેંકોના પ્રતિનિધીઓ જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો/ નોન બેન્કીંગ ફાયનાન્સ સંસ્થાઓ/ સહકારી મંડળીઓ તથા આવી સંલગ્ન સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહી સરળતાથી લોન તથા ધિરાણની સવલતોની સંબંધિત માહિતી આપશે. તેમ યાદીમાં જણાવાયું છે.