Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

અમરેલીના લાઠી રોડ ઉપર પણ દિપડાએ દેખા દીધી

કુતરાનુ મારણ કર્યાની ચર્ચાઃ ગીર જંગલ છોડીને શહેરમાં હિંસક પ્રાણીના આંટાફેરાથી લોકોમાં ચિંતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩૧ : અમરેલી શહેરમાં દિપડાના ગુરૂવાર રાત્રીથી આંટાફેરા થતા લોકોમાં ચિંતા પ્રસરી છે. ગઇકાલે શુક્રવારે રાત્રીના લાઠી રોડ ઉપર દિપડાએ દેખા દીધી હતી અને કુતરાનું મારણ કર્યુ હતુ.

ગુરૂવારે રાત્રીના ૧.૪૬ વાગ્યે અમરેલીના નાના બસ સ્ટેન્ડ પાસે આવેલ હરિરામબાપા ચોકમાં રાજમહેલ કેમ્પસમાંથી દિપડો મ્યુનીસીપલ ગર્લ્સ સ્કુલમાં અને ત્યાંથી ગાંધીબાગ અને સ્વામીનારાયણ મંદિર કેમ્પસમાં ગયો હતો. મંદિર કેમ્પસની ૧પ ફૂટ ઉંચી દિવાલ ઠેકી દિપડો તારવાડી ગાયત્રી મંદિરવાળા રોડ ઉપર પહોંચ્યો હતો અને ત્યાંથી ઠેબી ડેમ પાસેથી પોમલી પાટ થઇ પ્રતાપપરા તરફ ચાલ્યો ગયો હોવાનું તેના સગડ ઉપરથીજાણવા મળ્યું હતુ. તેમ આરએફઓ  દિલીપ ગઢવીએ જણાવ્યું હતુ.

શ્રી ગઢવી એ જણાવ્યું હતું કે દિપડાને જોઇ પોલીસ અને વનતંત્રને જાણ કરવામાં આવતા વનતંત્ર તથા પોલીસની સંયુકત ટીમો દ્વારા રાત્રીના જ દિપડાના સગડ મેળવવામાં આવ્યા હતા અને શહેરની ઝુપડપટ્ટીઓમાં બહાર સુતેલા લોકોને અંદર સુવાની સુચના અપાઇ હતી અને તાપણા શરૂ કરી દેવામાં આવ્યા હતા તથા ઇદનો તહેવાર હોય રાત્રીના સમયે લોકોને પણ સમજણ આપવામાં  આવી હતી કે દિપડો દેખાય તો લોકોએ હસકાર આપવો, ટોળા ન વળાવ દેકારો ન કરવો અને ઝુપડપટ્ટીમાં રહેનારા લોકોને પણ સમજણ અપાઇ હતી કે માંસાહાર ન કરવો જો માંસાહાર કર્યો હોય તો એઠવાડ જયાં ત્યાં ન ફેંકવો કારણ કે તે તેની ગંધ દિપડાને ચાર પાંચ કિ.મી. સુધી આવી જતી હોય છે.

આવો એઠવાડ હોય તો ઉંડો ખાડો ફરી દાટી દેવો બીજી તરફ અમરેલી શહેરના લોકોએ પણ પોલીસ અને વનતંત્રને સહકાર આપ્યો હતો અને દિપડાને કઇ દિશામાં કયાં જોવામાં આવયો હતો અને તેની માહિતી આપવામાં આવી હતી અને લોકોએ સુંદર સહકાર આપ્યો હતો. આમ છતાં જો કોઇને વન્ય પ્રાણી અંગેની જાણ થાય તો આરએફઓ શ્રી દિલીપભાઇ ગઢવી મો.૯૪ર૯પ ૭૭૭ર૮ ઉપર જાણ કરવી.

(12:46 pm IST)