Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સોનારડીના માજી સરપંચની હત્યા કરનારા શખ્સોનો મૃતકના પુત્ર ઉપર હુમલો

હુમલાખોરોએ પણ માર માર્યાની કરી ફરિયાદ

જુનાગઢ તા.૩૧: સોનારડીના માજી સરપંચના હત્યારા શખ્સોએ મૃતકના પુત્ર ઉપર હુમલો કર્યાની અને હુમલાખોરોએ પણ તેમને માર માર્યાની વંથલી પોલીસમાં ફરિયાદ થઇ છે.

વંથલી તાલુકાના સોનારડી ગામના માજી સરપંચ દિલાવરભાઇ ઉર્ફે ડાડાભાઇ પલેજાની તાજેતરમાં ગ્રામ સભા બાદ આરટીઆઇના પ્રશ્ને તેના કુટુંબીઓએ હત્યા કરી હતી.

આ હત્યા સબબ મૃતકના પુત્ર મકબુલ દિલાવરભાઇ પલેજાએ નુરમામદ સુમારભાઇ પલેજા વગેરે ૧૨ જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી હતી.

ગઇકાલે બપોરે સોનારડી ગામે નુરમામદ સુમાર, અર્બુલ મુસાભાઇ પલેજા, ઇકબાલ તૈયબભાઇ અને ઇમતીયાજ ઇસ્માઇલ પલેજાએ મકબુલ પલેજાની વાડીએ જઇ ખૂન કેસ પાછો ખેંચી લેવાનું કહી કહી તારા પિતાની જેમ તને પણ મારી નાખશુ તેમ કહીને ચાકા વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં મકબુલને એક શખ્સે પગની સાથળ પર બટકુ ભરી લઇ અને ચાકુ વડે છરકા કરી ઇજા પહોંચાડી ચારેય શખ્સો નાસી ગયા હતા.

આ અંગે મકબુલ પલેજાએ ફરિયાદ કરતાં વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ બનાવ બાદ રાત્રે નુરમામદ પલેજાએ મૃતકના પુત્ર મકબુલ દિલાવર તેમજ જાફર મામદ, નદીમ જાફર, ઇલીયાસ જાફર, ભીખુ ઇસ્માઇલ,ઇસ્માઇલ મામદ,અજીમ હાસમ અને હાસમ ઉર્ફે કારા મામદ પલેજાએ સામે કુહાડીથી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની વધુ તપાસ પી.એસઆઇ એન.બી.ચૌહાણ અને હેડ કોન્સટેબલ પી.એસ.શેખવા ચલાવી રહ્યા છે.

(1:19 pm IST)