Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ધ્રાંગધ્રાના ખાંભડામાં ફયુઝ રિપેર કરતી વખતે વિજકરંટથી જયેશ રાઠોડનું મોત

૨૦ વર્ષનો યુવાન કોલેજમાં ભણતો'તોઃ વણકર પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૩૧: ધ્રાંગધ્રાના ખાંભડા ગામે રહેતાં ૨૦ વર્ષના જયેશ ત્રિભોવનભાઇ રાઠોડ નામના વણકર યુવાનનું વિજકરંટથી મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

જયેશના ઘરમાં રાતે લાઇટ જતાં ફયુઝ ઉડી ગયાની શંકાએ તે ફયુઝ જોવા, રિપેર કરવા જતાં જોરદાર કરંટ લાગી જતાં બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં મોત નિપજ્યું હતું. ત્યાંના તબિબે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવાનો રિપોર્ટ આપતાં મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

મૃત્યુ પામનાર જયેશ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને ધ્રાંગધ્રાની કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા ખેત મજૂરી કરે છે. યુવાન આશાસ્પદ દિકરાના મૃત્યુથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

(11:40 am IST)