Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સરકારને કોણ પુછે?...સુજલામ-સુફલામ યોજનાના સમાપન પ્રસંગે લોકોને એમ્બ્યુલન્સમાં લઇ જવાયા!!

ઇમરજન્સી સેવાને બદલે કોઇ કાર્યક્રમમાં એક સાથે પાંચ-પાંચ વાહનોનો ઉપયોગ કરવાનો કયાંનો કાયદો?: પોરબંદર પંથકમાં ચર્ચાનું બજાર ગરમ

 પોરબંદર, તા.૩૧: દેશ-દુનિયામાં જયાં જુઓ ત્યાં એમ્બ્યુલન્સનો ઉપયોગ માત્રને માત્ર દર્દીઓને લઇ જવા માટે કરાતો હોય છે, પણ કયાંય પણ સાજા નરવા લોકોને કે સરકારી કાર્યક્રમમાં માણસોને લઇ જવા માટે થયાનું પ્રકાશમાં આવે તો જરૂર ટીકાને પાત્ર બને, આવો જ કિસ્સો પોરબંદર પંથકમાં બનવા પામ્યો છે. આ અંગે ચર્ચાતી વિગતો મુજબ પોરબંદરના બગવદર ગામે આજે સવારે સુજલામ-સુફલામ યોજનાનો સમાપન સમારોહ મ્યું ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને  યોજાયો હતો...જેમાં આશા વર્કરોને પહોંચાડવા માટે પોરબંદરથી એક કે બે નહિ, પણ એક સાથે પાંચ-પાંચ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાયો હોવાનું ધ્યાને આવતા જ જાગૃત નાગરિકોમાં તરેહ-તરેહની ચર્ચા જાગી છે...ઘણા તો એમ પણ કહેતા સંભળાઇ રહયા હતા કે, સરકાર ધારે એ રીતે ઉપયોગ કરી શકે એને કોણ પુછવાવાળુ??

દરમિયાન સરકારી કાર્યક્રમમાં ખાનગી કોઇ વાહનોને બદલે એમ્બ્યુલન્સનો માણસોની હેરા ફેરી માટે ઉપયોગ થતા જ શહેર સહિત પોરબંદર પંથકમાં તંત્રની કામગીરી બાબતે મોઢા એટલી વાતો થઇ રહી છે ત્યારે કેટલાક લોકો તો એમ પણ કહેવા લાગ્યા છે કે, જયારે એક સાથે પાંચ એમ્બ્યુલન્સને દર્દીઓને બદલે કાર્યક્રમમાં માણસો પહોંચાડવા માટે લઇ જવામાં આવી ત્યારે જ કોઇ દર્દીઓને જરૂર પડી હોય કે કોઇ ગંભીર બનાવ સર્જાય તો જવાબદારી કોની રહી હોત??

તળાવમાં માટીના ઘડામાં વિવિધ વસ્તુઓ ભરેલા ઘડા પધરાવવાથી  પાણી શુધ્ધ થાય કે અશુધ્ધ ??

પોરબંદર પંથકના બગવદર ગામે આજે સવારે સુજલામ-સુફલામ યોજનાના સમાપન સમારોહ કાર્યક્રમમાં લઇ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાતા ચોતરફ ટીકા થઇ રહી છે...એવી જ રીતે તળાવના પાણીમાં મિઠાઇ સહિતની વિવિધ વસ્તુઓ ભરેલા એક સાથે ૧૧ માટીના ઘડા પધરાવાતા પણ ઉપસ્થિત લોકોમાં મોઢા એટલી વાતો થવા લાગી હતી.

તો, ઘણા જાગૃત પંથકવાસીઓ તો એમ કહેતા હતા કે, તળાવના પાણીમાં માટીના ઘડાને મીઠાઇ જેવી વસ્તુઓ ભરેલા નાંખવામાં આવે તો પાણી ખરેખર શુધ્ધ થાય કે અશુધ્ધ ??

(4:39 pm IST)