Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વંથલીના સાંતલપુરની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર સંબંધી અક્ષય સોલંકીની કોરોના ટેસ્ટ બાદ ધરપકડ

બાળાની તબીયત બગડતા હકીકત બહાર આવી

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૩૦: વંથલીના સાંતલપુરની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર સંબંધીની અટક કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વંથલી નજીકનાં સાંતલપુર ધાર વિસ્તારમાં રહેતા એક પરીવારની ૯ વર્ષ ૧૧ માસની સગીર પુત્રી પર તેના જ ગામમાં રહેતા સંબંધીએ દુષ્કર્મ થયાની ફરીયાદ સગીરાની માતાએ નોંધાવતા પોલીસે તુરત જ તપાસ હાથ ધરી દીધી હતી.

ગઇકાલે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતો પરીવારનો સંબંધી અક્ષય ઉર્ફે રાકેશ રાજુ સોલંકી નામનો શખ્સ બાળકીને ભાગ આપવાની લાલચ આપીને પોતાના ઘરે લઇ ગયો હતો.

જયા આ ર૦ વર્ષીય નરાધમે સગીરા પર અધમ કૃત્ય આચર્યુ હતું અને સગીરાને કોઇને વાત નહી કહેવાની ધમકી આપી હતી.

પરંતુ દુષ્કર્મ બાદ સગીરની તબીયત બગડતા તેની માતાએ પુછપરછ કરતા સગીરાએ સઘળી હકીકત પોતાની માતાને કહી હતી.

આ બનાવને લઇ સગીરાનો પરીવાર હતપ્રભ થઇ ગયો હતો. બિમાર સગીરાને સારવાર માટે વંથલી સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.

સમગ્ર હકીકતની જાણ થયા બાદ ગઇકાલે સાંજે સગીરાની માતાએ વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

આ ફરીયાદના આધારે પોલીસે દુષ્કર્મ  અને પોકસોની કલમ લગાવીને અક્ષય ઉર્ફે રાકેશ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વંથલી પીએસઆઇ બી.કે.ચાવડાએ સાંજે આરોપી અક્ષય સોલંકીની અટકાયત કરી તેને કોવીડ ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો.

વિશેષ તપાસ પી.આઇ. સી. એસ.ગમાર ચલાવી રહયા છે.

અટકાયત કરાયેલા શખ્સનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જુનાગઢ જીલ્લામાં છેલ્લા ત્રણ માસમાં સગીરા સાથે દુષ્કર્મની ચાર ઘટના સામે આવી છે.

(12:46 pm IST)