Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પોરબંદરના શિવમ્ ટયુશન કલાસવાળા વિરેન મજીઠીયા અને તેનો પરિવાર પાણીમાં લાપત્તા ? જામનગર-ખંભાળિયાના ૭ લોકોને બચાવાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૦ :. પોરબંદરના શિવમ્ ટયુશન કલાસવાળા વિરેનભાઈ મજીઠીયા (લોહાણા) પરિવારના સભ્યો પાણીના પ્રવાહમાં તણાયા હોવાની ચર્ચાએ જોર પકડતા ફાયર બ્રિગેડની ટીમે તેઓની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શિવમ્ ટયુશન કલાસવાળા વિરેનભાઈ મજીઠીયા ગાડી નં. જીજે ૨૫ જે ૪૧૯૮ લઈને પોરબંદરના બગવદર નજીક આવેલ કુંજવેલ નદી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ગાડી પાણીના પ્રવાહમાં તણાઈ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. આ દરમિયાન માત્ર ગાડીની નંબર પ્લેટ હાથ લાગી છે. આ ગાડીમાં વિરેનભાઈ મજીઠીયા એકલા હતા કે તેમના પરિવારજનો ? તે અંગે ચર્ચા ચાલી રહી છે.

આ દરમિયાન ગઈ રાત્રીના જામનગર અને ખંભાળિયાના ૭ જેટલા સભ્યોને ફાયર બ્રિગેડની ટીમે પાણીમાંથી બચાવી લીધા હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં જયસુખભાઈ સોનૈયા (ઉ.વ. ૬૦), ડાયાભાઈ રાયચુરા (ઉ.વ. ૮૫), ચિરાગભાઈ સોનૈયા (ઉ.વ. ૨૭), પ્રફુલાબેન સોનૈયા (ઉ.વ. ૫૫), પૂજાબેન રાયચુરા (ઉ.વ. ૫૦), બીનાબેન રાયચુરા (ઉ.વ. ૪૫) અને રસીલાબેન રાયચુરા સહિતનાને બચાવી લઈને જામનગર અને ખંભાળીયા તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

(2:54 pm IST)