Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વરસતા વરસાદમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં ઉમટતા ભકતો

પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં: નવે નવ નોરતા દરમિયાન મંદિરે ધ્વજારોહણ, યજ્ઞ અને માતાજીને અવનવા શણગાર કરાશેઃ મંદિરને લાઈટિંગ અને ફૂલોનો શણગાર

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. વરસતા વરસાદમાં પણ આ પદયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભકતો જોડાયા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે કાગવડ ગામથી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ખોડલધામ મંદિર સુધીની ૨ કિલોમીટરના આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં ભકતો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા હતા.

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા ચાલુ વરસાદમાં પણ મોટી સંખ્યામાં ભકતો સવારમાં કાગવડ ગામ પહોંચી ગયા હતા. પદયાત્રાના માર્ગ પર શણગાર કરવામાં આવ્યો હતો. કાગવડ ગ્રામ્યવાસીઓએ પદયાત્રીઓનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ નરેશભાઈ પટેલે  પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં હજારો ભાવિકો કાગવડ ગામથી ખોડલધામ મંદિર પહોંચ્યા હતા. મા ખોડલના રથની પાછળ પાછળ ગરબાના તાલે જય મા ખોડલના જય જયકાર સાથે ભકતો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા.

પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ ખોડલધામ મંદિરના શીખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં જોડાયેલા ભાઈઓ-બહેનોએ મંદિરના પટાંગણમાં વરસતા વરસાદમાં ભકિતમાં તરબોળ થઈને રાસ-ગરબાની રમઝટ બોલાવી પ્રથમ નોરતે મા ખોડલના પોંખણાં કર્યા હતા. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં જોડાયેલા ભકતો માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભકતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી.

આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન-વેરાવળના ટ્રસ્ટીઓ, ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, રાજકોટના તમામ લેઉવા પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભકતો દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે. ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં રાસ-ગરબે રમી શકે તે માટે રાજકોટના ચાર ઝોન, વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, તાલાલા અને ઉનામાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે.

(11:55 am IST)