Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ગોંડલમાં ગૌતમ હરીયાણીનો ફાંસો ખાઇ આપઘાતઃ કારણ અંગે તપાસ

ત્રણ માસ પૂર્વે મૃતકના ભાઇએ પણ આપઘાત કર્યો'તોઃ ત્રણ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી

ગોંડલ, તા.૩૦: ગોંડલમાં ભગવતપરાના બાવાજી યુવાને ફાંસો ખાઇ  આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ ગોંડલના ભગવતપરા ખાતે આવેલ વડલાવાડી શેરીમાં રહેતા અને સાડીની દુકાનમાં કામ કરતા ગૌતમ જગદીશભાઇ હરીયાણી (ઉ.વ.૨પ) એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તેના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગેની તપાસ હોસ્પિટલ ખાતે ના જમાદાર રાજેન્દ્રસિંહ ઝાલાએ હાથ ધરી હતી ગૌતમભાઇને સંતાનમાં ત્રણ પુત્રીઓ હોય અને ત્રણ માસ પહેલા તેના ભાઇએ પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

જન્માષ્ટમીના તહેવારો પૂર્વે એકજ પરિવારના બે બે યુવાનોએ ટૂંકા સમય ગાળામાં આત્મહત્યા કરી લેતા બાવાજી પરિવાર શોકમાં ગરક થઇ જાવા પામ્યો છે. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.(૨૩.પ)

 

(3:47 pm IST)