Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

બે વર્ષમાં ત્રણ ત્રણ સ્વજનને ગુમાવતાં ભાંગી પડેલા અમિનાબેન મોવરનો એસિડ પી આપઘાત

માળીયા મિંયાણાના કાજરડા ગામના મહિલાએ એસિડ પી લેતાં રાજકોટમાં દમ તોડ્યોઃ પરિવારમાં માતમ : બે વર્ષ પહેલા પતિ ગુમાવ્યા અને છેલ્લા ત્રણ મહિનામાં પિતા તથા સસરા પણ ગુમાવ્યા

રાજકોટ તા. ૩૦: બે વર્ષ પહેલા પતિ ગુમાવતાં અને છેલ્લા ત્રણ મહિનામાં પિતા તથા સસરાના પણ મૃત્યુ નિપજ્યા બાદ માનસિક રીતે ભાંગી પડેલા માળીયા મિંયાણા તાબેના કાજરડા ગામના મિંયાણા મહિલાએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

કાજરડા ગામે રહેતાં અમિનાબેન મહેબૂબભાઇ મોવર (ઉ.વ.૪૬)એ ગઇકાલે સવારે એસિડ પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળીયા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારના સગાના કહેવા મુજબ અમિનાબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. તેમના સગા મહમદ સિદ્દીકભાઇએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે અમિનાબેનના પતિનું બે વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.ત્યારથી તેઓ આઘાતમાં હતાં. ત્યાં ત્રણ મહિનાના ગાળામાં તેમના પિતા અને સસરાના પણ મૃત્યુ થતાં તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતાં. ઉંઘ આવતી ન હોઇ મગજ ભમતો હોઇ તેની દવા પણ ચાલુ હતી. કંટાળીને આ પગલુ ભરી લીધાની શકયતા છે. માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)