Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ભાવનગરના માલણકામાં ૫૦ હજારની ઉઘરાણીમાં રત્ન કલાકારની હત્યા

નિલેશ ગીગાભાઇ બારૈયા અને નિતેશ ગીગાભાઇ બારૈયાએ છરીના ઘા ઝીંકીને રમેશભાઇ મનજીભાઇ બારૈયા (ઉ.૫૦)નું ઢીમ ઢાળી દીધું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૩૦ : ભાવનગરના માલણકા ગામે રૂ. ૫૦ હજારની ઉઘરાણી બાબતે રત્ન કલાકાર આધેડ ઉપર બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખ્યાનો બનાવ બનવા પામ્યો છે.

ખૂનના આ બનાવની વિગતો એવી છે કે ભાવનગરના માલણકા ગામે રહેતા અને હિરાના કારખાનામાં કામ કરતા રમેશભાઇ મનજીભાઇ બારૈયા (ઉ.વ.૫૦) ઉપર આ જ ગામના નિલેશ ગીગાભાઇ બારૈયા અને નિતેશ ગીગાભાઇ બારૈયાએ છરી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતાં જ વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી સોલંકી તથા સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

હત્યાના આ બનાવ અંગે મૃતક હિરાઘસુ રમેશભાઇનાં પુત્ર હિતેશ રમેશભાઇ બારૈયાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં આ જ ગામના નિલેશ ગીગાભાઇ બારૈયા અને મિતેશ ગીગાભાઇ બારૈયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે તેના પિતા મૃતક રમેશભાઇએ આરોપીના પિતાને રૂ. ૫૦ હજાર ઉછીના આપ્યા હતા અને આ રકમની તેઓએ ઉઘરાણી કરતા તેઓને નહિ ગમતા તેના પિતા ઉપર છરીનાં ઘા ઝીંકી હત્યા કરી હતી. આ અંગે પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(11:00 am IST)