Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

જામનગરમાં જૂનમાં એક પછી એક છ નેત્રયજ્ઞો

'રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ' હેઠળ દર્દીઓને નવી દ્રષ્ટિ આપવાની નેમ : ઓપરેશન કરી નેત્રમણી પણ નિઃશુલ્ક બેસાડી દેવાશે : દવા,ટીપા,ચશ્મા પણ વિનામુલ્યે

જામનગર તા.૩૦ : રાજકોટના શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છમાં દર મહિને ૧૦૦ થી વધુ નેત્રયજ્ઞ યોજવામાં આવે છે. તે અન્વયે જામનગરના વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી અત્યાર સુધીમાં ૬૨૫ થી વધુ કેમ્પ યોજી ૧૦,૯૦૩ થી વધુ દર્દીઓના વિનામુલ્યે આંખના મોતિયાના સફળ ઓપરેશન કરાવી આપેલ છે. ત્યારે જૂનમાં પણ કેમ્પનું આયોજન કરાયુ છે. જેમાં વિશ્વ પ્રસિધ્ધ ફેંકો પધ્ધતીથી લોહી ન નીકળે તેવું ટાંકા વગરનું ઓપરેશન માત્ર પાંચ જ મીનીટમાં વિનામુલ્યે કરી મફતમાં નેત્રમણી બેસાડી આપવામાં આવશે. દર્દીઓને બે દિવસના રોકાણ ભોજન પ્રવાસ નિવાસ વગેરે ફ્રી છે. દવા, કાળા ચશ્મા, ટીપા અને ઓપરેશન પછીની સારવાર પણ પછીના કેમ્પમાં મફત છે. દર્દીએ એક રૂપિયો ખર્ચ કરવાનો રહેતો નથી.

રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ ટ્રસ્ટ દ્વારા કેમ્પ યોજી નવી દ્રષ્ટિ આપવા સળંગ એક પછી એક એમ છ સ્થળે યોજાનાર નેત્રયજ્ઞો સવારે ૯-૩૦ થી ૧૧ રહેશે.

અત્રે નોંધનીય છે કે, સળંગ ૬૩૦ મો કેમ્પ તા.૧ લી જૂને શ્રી જલારામ મંદિર હાપા ખાતે ૬૩૧ મો કેમ્પ તા. ૮ મી જૂને શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર ખોડીયાર કોલોની ખાતે તથા ૬૩૨ મો કેમ્પ તા. ૧૪ મી જૂને શ્રીમાળી બ્રાહ્મણ શામવેદી જ્ઞાતિની વાડી, પંચેશ્વર ટાવર પાસે તેમજ ૬૩૩ મો નેત્રયજ્ઞ તા. ૧૫ મી જૂને ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદિર પાસે કે.વી.રોડ ખાતે તથા ૬૩૪ મો કેમ્પ તા.રરમી જૂને શિવમ પેટ્રોલ પંપ, શરૂ સેકશન રોડ ઉપર અને ૬૩૫ મો કેમ્પ તા. ૨૯ મી જૂને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, નેશનલ હાઇસ્કૂલ ખંભાળિયા નાકા પાસે યોજાનાર છે.

કેમ્પના આયોજનમાં સહયોગ રમેશભાઇ દતાણી, હિતેશભાઇ ગોરધનભાઇ અમલાણી, રક્ષેશ મજમુદાર સ્વ. રીતેશ મેમોરીયલ, ભરતભાઇ કુંડલીયા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીનો છે. જયારે ભોજન નાસ્તાની વ્યવસ્થા જલારામ મંદિર હાપા, કિરીટ ફરસાણ માર્ટ, પારસ સ્વીટસ એન્ડ ફરસાણ માર્ટ અને શિખંડ સમ્રાટ (લીમડા લેન) ની છે. જરૂરતમંદ તમામ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા તથા અન્યોને જાણ કરવા પ્રમુખ નટુભાઇ ત્રિવેદી (મો. ૯૯૯૮૦ ૯૫૨૧૦)ની યાદીમાં અનુરોધ કરાયો છે.

(12:05 pm IST)