Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મોરબી જીલ્લાની કહેવાતી સિવિલ હોસ્પિટલમાં ૧૬૦ કોરોનાના દર્દીઓ વચ્ચે માત્ર ૨ જ ડોકટર !!

ફલૂ ઓપીડી, ઇમરજન્સી સહિતના વિભાગોમાં પણ સ્ટાફની ઘટ : ડો.દુધરેજીયાની બદલી બાદ ડો. રાવલે હજુ ચાર્જ ન સાંભળતા સિવિલ ધણીધોરી વગરની

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૩૦: કોરોના મહામારી વચ્ચે મોરબી સિવિલ હોસ્પિટલની જાણે માઠી બેઠી હોય તેમ માત્ર બે ડોકટર અને આઠ નર્સીંગ સ્ટાફ ૧૬૦ કોરોના પેશન્ટની સારવાર કરી રહ્યા છે.આવી જ હાલત ઇમરજન્સી વિભાગ અને ફલૂ ઓપીડીની હોવાથી ફરજ ઉપરના તબીબોનું કામનું ભારણ અતિશય વધી જવા પામ્યું છે અને તેમાં પણ દર્દી અને તેમના સગા ધીરજ ગુમાવી તબીબો સાથે અણછાજતું વર્તન કરતા હોય સિવિલના તબીબો વિકટ પરિસ્થિતિમાં ફરજ નિભાવી રહ્યા છે.

હાલમાં મોરબી જિલ્લામાં કોરોનાની અત્યંત વિકટ પરિસ્થિતિ અને ટાંચા સાધનો વચ્ચે મોરબી સિવિલ હોસ્પિટલમાં ૧૬૦ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફની દ્યટનો છે હાલમાં સિવિલ હોસ્પિટલમાં ડોકટર્સ,નર્સિંગ સ્ટાફ અને સર્વન્ટની ખુબ જ અછત છે આમ છતાં કોરોના વોર્ડ, ઇમરજન્સી અને ફલૂ ઓપીડીમાં કામના અતિશય ભારણ વચ્ચે તબીબો રાત દિવસ જોયા વગર કામગીરી કરી રહ્યા છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે મોરબી સિવિલ હોસ્પિટલના ચીપકું અધિક્ષક દુધરેજીયાની બદલી બાદ સુરેન્દ્રનગરથી મુકાયેલ ડો.રાવલ હજુ હાજર થયા ન હોવાથી આરએમઓ સરડવા ઇન્ચાર્જ અધિક્ષકનો ચાર્જ નિભાવી રહ્યા છે અને ડો.શૈલેષ પટેલ ઇન્ચાર્જ આરએમઓ તરીકે આ કપરી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલનું ગાડું ગબડાવી રહ્યા છે ત્યારે મોરબીના ભાજપના આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ સ્ટાફની દ્યટ પૂર્ણ કરવા તાકીદે કાર્યવાહી હાથ ધારે તે સમયની માંગ છે.

(10:20 am IST)