Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વિંછીયાના અમરાપુર ગામે ખેતમજુર સંજય કોળીનો ગળાફાંસો ખાઈ આપઘાત

બે સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ આપઘાતના કારણ અંગે તપાસ

 વિંછીયા, તા. ૩૦ :. વિંછીયા તાલુકાના અમરાપુર ગામમાં કોળી યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોત મીઠુ કરી લેતા કોળી પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.

જાણવા મળતી હકીકત મુજબ તાલુકાના અમરાપુર ગામે સંજય અમરશીભાઈ વાસાણી (ઉ.વ. ૩૦) નામના કોળી યુવાને પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો વિંછીયા સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવેલ પરંતુ ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હતું. ફરજ પરના ડોકટરે સંજયભાઈને મૃત જાહેર કર્યા હતા.

મૃતક સંજયભાઈ અમરાપુર ગામમાં ખેત મજુરી કરતા હતા અને સંતાનમાં દિકરો અને દિકરી હોવાનું જણાવાય છે. વિંછીયા તાલુકામાં ૩ દિવસમાં લોકડાઉનના સમયે આ આત્મઘાતનો બીજો બનાવ છે. આ બનાવ અંગે વધુ તપાસ વિંછીયા પોલીસ ચલાવે છે.

(11:51 am IST)