Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આજે ખોડિયાર જયંતીઃ માટેલનો ઇતિહાસ અને માતાજીના અનેકવિધ પરચા

માતાજીનું સાચુ નામ જાનબાઇઃ ભાઇને નાગે ડંખ મારેલ અમૃત કુંભથી બચ્‍યો જીવ

રાજકોટઃ મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધામ ભક્તિ અને આસ્થાનું અનેરૂ પ્રતીક છે. જ્યાં મા ખોડિયારના બેસણા છે વિશ્વભરમાંથી લોકો ત્યાં દર્શનાર્થે આવે છે. અને તેઓની મનોકામના પૂર્ણ થતા ભક્તિભાવ સાથે માતાજીની સ્તુતિ કરે છે જેમા ગઈકાલે તારીખ 29 જાન્યુઆરી મહા સુદ આઠમ નવા દિવસે મા ખોડીયારના જન્મદિવસ નિમિતે ભક્તોએ પણ માટેલ ધામ ખાતે મોડી રાત્રીના જઈને દર્શન કરી કેક કાપ્યો છે.

મા ખોડિયારનું સાચુ નામ જાનબાઈ

મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકા માં માટેલ ગામ આવેલું છે. જ્યાં મા ખોડિયાર સહિત આવળ, બીજબાઈ અને સહિતના ત્રણ બહેનોના બેસણા છે. આ સિવાય જોગર, તોગર, ગોલાઈ, સોસાઈ લોકવાયકા પ્રમાણે મા ખોડિયાર ભાવનગરના રાજપરા ગામેથી માટેલ ધામ 750 વર્ષ પહેલાં પધાર્યા હતાં. તેમજ મા ખોડિયારનું સાચુ નામ જાનબાઈ હતું. તેઓ ભાવનગર જીલ્લાના વલભીપુર પાસેના રોહિશાળાના મૂળ વતની હતા. ખોડિયાર માતાજીના માતાનું નામ દેવલબા અને પિતાનું નામ મોમણિયા ચારણ હતું.

મામણિયા ચારણએ શિવભક્તિ કરી અને વાજીયા મેણું ભાગવા માટે ઉપાસના કરી જેમાં ભગવાન શિવે પ્રસન્ન થઈ મામણિયા ચારણને પાતાળ લોકની નગદેવતાની સાત પુત્રી અને એક પુત્ર જન્મ લેશે તેવું વરદાન આપ્યું અને દેવલબા મહસુંદ આઠમના દિવસે આઠ પારણા મુકતા આઠ દીકરી અને એક પુત્રથી ભરાઈ ગયા. જેમાં સાત બહેનોના એકના એક ભાઈને ઝેરી સર્પે દંશ આપ્યો. જેમાં સૂર્ય ઉગે એ પહેલાથી પાતાળ રાજા પાસેથી અમૃત કુંભ લઈને આવે તો ભાઈનો જીવ બચી જાય આથી જાનબાઈ આ અમૃત કુંભ લેવા ગયા અને આવતા આવતા સૂર્ય ડૂબવા નો સમય થઈ ગયો ત્યાં બીજા બહેન આવળમાં બોલ્યા કે જાનબાઈ ખોડાઈ તો નથી ગયાને ત્યાં જાનબાઈ કુંભ લઈને ઘરમાં પ્રવેશતાની સાથે જ જાનબાઈનો પગ ખોડાઈ ગયો ત્યાંથી જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું હતું.

મગરની સવારી કરી આવેલા ખોડિયાર માતાજીના અમૃત કુંભથી ભાઈ મેરખિયાનો જીવ બચી ગયો હતો. મા ખોડિયાર માટેલ ધામે વિશ્વમાંથી કરોડો અને લાખો શ્રદ્ધાળુઓ આવે છે. જ્યાં ચૈત્રી અને આસો નવરાત્રી અને અષાઢીબીજ ધામ ધૂમથી ઉજવાય છે. તેમજ માટેલ મંદિરમાં આવેલ ત્રિશુલ દર વર્ષે એક ઇંચ જેટલું વધે છે. સાથે જ માટેલ મંદિરમાં આવેલ વરખડીનું વૃક્ષ પણ મા ખોડીયારની પ્રતીતિ કરાવે છે. માટેલ ગામે આવેલ માટેલિયો ધરો પણ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું અનેરું પ્રતીક સમાન આધુનિક યુગમાં ગણવામા આવે છે જેમાં આ માટેલિયા ઘરમાં ક્યારેય પાણી ખૂટતું નથી અને તળિયું પણ દેખાતું નથી.

આ સાથે સાથે આ જ ધરાનું પાણી આખું માટેલ ગામ પીવે છે, જેને ગાળ્યા વિના જ પીવાનું હોય છે. જો ધરાનું પાણી ગાળવામાં આવે તો તેમાં જીવાત થઈ જાય છે. લોકવાયકા પ્રમાણે આ માટેલિયા ધરામાં માતાજીનું સોનાનું મંદિર આવેલું છે અને સોનાંની નથડી પહેરેલ મહાકાય મગર તેની રક્ષા કરે છે. આ ધરાની લોકવાયકાથી પ્રભાવિત થઈને એક સમયના મુગલ બાદશાહે નવ હજાર નવસો નવ્વાણું કોષ (પાણી કાઢવાના મશીનો) મૂકી ધરામાંથી પાણી ઉલેચી નાખ્યું હતું બાદમાં સોનાના મંદિરનું ઉપરનું શીખરનું એક ઈંડુ દેખાતા જ ખોડિયાર માતાજીએ તેના ભાણેજને બોલાવતાનની સાથે જ ભર ઉનાળે પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો હતો અને ધરામાં પાછું છલોછલ પાણી ભરી તમામ કોષ પાણીમાં તણાઇ ગયા હતા.

એક માનતાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે

માટેલ ધામે ખોડિયાર માતાજીએ અનેક ભાવિ ભક્તોને ડોશીમા બનીને દર્શન આપ્યાના પરચા હાલ બોલે છે. વિશ્વના ખૂણે ખૂણેથી લોકો માટેલ ધામે આવ્યા વિના રહેતા નથી માટેલિયા ધરામાં. માતાજીના વાહન મગરના પણ વાર તહેવારે ભાગ્યશાળી ભક્તોને થાય છે. સાથે જ એક માનતાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે જેના લીધે લોકો ચાલીને, દંડવત પ્રણામ કરીને જુદી જુદી પ્રકારે માનતાઓ કરવા પણ આવે છે. જેથી આજદિન સુધી માટેલ ધામેથી કોઈ ખાલી હાથે પાછું ગયુ નથી.

સવારની 05:30 વાગ્યે મંગલા આરતી થાય છે

માટેલ ધામમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક રૂપિયો પણ લીધા વિના ચોવીસ કલાક ભોજનની અને રહેવા માટેની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વહીવટ માટેલ ધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. સાથે જ માટેલની ગૌ શાળામાં 160 જેટલી ગાયો પણ રાખવામાં આવી છે જેમાં તમામ દૂધ ભક્તો ને જ આપવામાં આવે છે. મોરબી ના માટેલ ધામે મા ખોડિયારની સવારની 05:30 વાગ્યે મંગલા આરતી અને સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી થાય છે. જેમાં ચોખા ઘીની લાપસીની પ્રસાદી માતાજીને ધરાવવામાં આવે છે. રોજના 1500 થી 2000 લોકો દર્શનાર્થે આવે છે અને ભોજન કરે છે. મા ખોડિયાર અને માટેલ ધરાને પણ પ્રસાદી સ્વરૂપે લઈને અને ધન્યતા અનુભવે છે ત્યારે આજે ખોડીયાર માતાજીના જન્મદિવસ પર ભક્તોમાં પણ ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી જેને લીધે ભક્તો મોડી રાત્રિથી જ દર્શનાર્થે આવવા માંડ્યા હતા.

(9:59 am IST)