Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ભુજમાં વચનામૃત દ્વિશતાબ્દી સપ્તાહનો પ્રારંભ : પોથીયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા

પોથીયાત્રા સભામંડપમાં પહોંચતા મહંત સ્વામીના હસ્તે ફુગ્ગા આકાશમાં છોડાયા

 

કચ્છના પાટ નગર ભુજ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી સપ્તાહના પ્રારંભમાં શહેરના ફુલવાડીથી બપોરે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત પોથીયાત્રામાં ચોવીસીના ગામોના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

વિક્રમ સવંત 1876 માગશર સુદ ચોથ વચનામૃતનો પ્રારંભ દિવસ છે.તેથી દિવસને વચનામૃત જયંતિનું ગૌરવ પ્રાપ્ત થયું છે 200 વર્ષના ગાળામાં અસંખ્ય સાધકોએ વચનામૃતનું સેવન કરી પરમ પદને પામ્યા છે ભવ્ય પોથીયાત્રામાં યજમાન પરિવાર ગુલાબી સાફા સાથે સુસજ્જ હતા. મહંત સ્વામી ધર્મનંદનદાસજી,પાર્ષદ સ્વામી જાદવજી ભગત, સ્વામી પ્રેમપ્રકાશ સ્વામી દ્વારા વચનામૃતનું શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક પૂજન કરાવવામાં આવ્યું હતું.દરેક યજમાનને સ્વામી દ્વારા ફૂલહાર પહેરવામાં આવ્યા હતા.

ભગવાનની પ્રસાદી રૂપ આંબલીના વૃક્ષ નીચે પૂજન કરાવાયું હતું ભગવાન સ્વામિનારાયણે જે સ્થળોએ વચનામૃત કહ્યા છે તે સ્થળોએ 51 યુવાનોએ પહોંચીને 720 કિલોમીટરની સાયકલ યાત્રા સફર કરી હતી અને ભવ્ય પોથીયાત્રામાં જોડાયા હતા ખાસ તો ગુજરાતમાં જે સ્થળોએ ભગવાન સ્વામિનારાયણના પગલાં છે ત્યાં દર્શન કરી સાયકલવીરો ભુજ પહોંચ્યા હતા અને ભવ્ય પોથીયાત્રામાં જોડાયા હતા.

ગુજરાતના જુદા જુદા સ્થળોએથી આવેલી જ્યોત પ્રગટાવીને પોથીયાત્રા સાથે નીકળી હતી ગામે ગામથી આવેલી ભજન મંડળીએ પણ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.વાજતે ગાજતે પોથીયાત્રા સભામંડપ પહોંચી હતી.જ્યાં મહંત સ્વામીના હસ્તે ફુગ્ગા આકાશમાં છોડવામાં આવ્યા હતા. વચનામૃત સભામંડપના મુખ્ય પ્રવેશદ્વારને સંતો દ્વારા રીબીન ખુલ્લી મુકાઇ હતી તકે તમામ ભક્તો સ્વામીજીની સાથે સભા મંડપ પર પહોંચ્યા હતા.જ્યાં મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ આર્શીવાદ પાઠવ્યા હતા.

વચનામૃત જ્ઞાન સપ્તાહ પારાયણ 30 નવેમ્બરથી શરૂ થઈ રહી છે કથાનો સમય સવારે 8.30.થી 11 અને બપોરે 3 થી 6 નો રાખવામાં આવ્યો છે. મહોત્સવ દરમ્યાન મેગા રક્તદાન કેમ્પ,સ્વામિનારાયણ ઔષધાલયનું ઉદ્ઘાટન,અન્નકૂટ દર્શન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે.રાત્રી દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો,ભજન સંધ્યા,રાશોત્સવ યોજાશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જે સ્થળે સભા મંડપ ઉભો કરાયો છે તે ભુજનું હ્ર્દય સમાન હમીરસર (છતરડી)સરોવર છે.જ્યાં આવતા ભાવિકો માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા તેમજ લોકો તમામ કાર્યક્રમો સારી રીતે નિહાળી શકે તે માટે 10 હજાર ખુરસીઓની વ્યવસ્થા ગોઠવાઈ છે ગ્રાઉન્ડમાં બેટી બચાઓ, બેટી પઢાવો ના સૂત્રો લગાવાયા છે.

(10:52 pm IST)