Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ગોંડલના એક પરિવારના તમામ ૯ બાળકો મનોદિવ્યાંગઃ હોસ્પિટલમાં મુકવાના બદલે જાતે જ ઉછેતરતુ દંપતિને ભિક્ષાવૃત્તિ કરીને પેટ ભરવાની ફરજ પડી રહી છે

જેતપુર :ભગવાન અને કુદરત જ્યારે સાથ ન આપે ત્યારે કયા દુખ કેવી રીતે આવીને તમારી ઝોળીમાં પડે તે કહી ન શકાય. આ દુઃખ સાથે જીવન ચોક્કસ ભાર જેવું લાગે છે. મનોમન એક દયાની લાગણી ઉભી થઈ જાય છે. આવો જ એક પરિવાર ગોંડલમાં જોવા મળ્યો, જેનો કિસ્સો સાંભળીને તમને પણ દયા આવશે. ગોંડલના સરણીયા પરિવારને સંતાનમાં 9 બાળકો છે, અને આ તમામ સંતાનો મનોદિવ્યાંગ છે. એકસાથે 9 મનોદિવ્યાંગ બાળકોને માનસિક રોગીની હોસ્પિટલમા ન મૂકીને જાતે જ ઉછેરતા જોઈને આ દંપતી પર તમને દયા ઉપજી આવશે.

કુદરત ક્યારેક ક્રુર બનતો હોય તેવા કિસ્સાઓ નજર સામે આવે ત્યારે અરેરાટી વ્યાપી જતી હોય છે. ગોંડલના જેતપુર રોડ પર સાંઢિયા પુલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા સરણીયા પરિવારના નવ સંતાનો મનોદિવ્યાંગ છે. આ કારણે આ પરિવારની હાલત અત્યંત કફોડી થવા પામી છે. વૃદ્ધ દંપતીને ભિક્ષાવૃત્તિ કરી મનોદિવ્યાંગોના પેટ ભરવાની ફરજ પડી રહી છે.

ગોંડલ નગરપાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા સન્ડે સ્લમ ડે મિશન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તેઓ સાથીદારો સાથે સ્લમ વિસ્તારમાં જઈ જરૂરિયાતમંદોની જરૂરિયાતો પૂરી કરી રહ્યાં છે. ત્યારે સાંઢિયા પુલ પાસે રહેતા રત્નાભાઇ પરમારના પરિવારના નવ મનોદિવ્યાંગ સદસ્યોને જોઈ સન્ડે સ્લમ ડેના સદસ્યો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

સરણીયા પરિવારના વૃદ્ધ દંપતી રત્નાભાઇ અને દુધીબેનએ જણાવ્યું હતું કે, કબાલા એટલે પશુ લે-વેચનો વ્યવસાય સદંતર બંધ જેવો થઈ ગયો છે અને પરિવારમાં છ વર્ષથી લઈ 33 વર્ષના જુવાનજોધ દીકરા મનોદિવ્યાંગ છે. તેમજ આવકની બીજી કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે તેમની હાલત કફોડી થઈ ગઈ છે. ફરજિયાત પણે વૃદ્ધ દંપતીને ભિક્ષાવૃત્તિ કરી સંતાનોના પેટ ભરવાની ફરજ પડી રહી છે. એટલું જ નહિ, આ તમામ મનોદિવ્યાંગ સંતાનોને તેઓ જીવની જેમ સાચવી રાખે છે. વૃદ્ધ હોવાથી તેઓ તમામ સંતાનો પર ધ્યાન આપી શક્તા નથી. આવામાં મનોદિવ્યાંગ સંતાનો ક્યાંક ભાગી ન જાય તે માટે તેઓને સાંકળથી બાંધી રાખે છે.

મનોદિવ્યાંગોને સાંકળથી બાંધવા અંગે વૃદ્ધ દંપતીએ જણાવ્યું હતું કે, એક તરફ હાઈવે રોડ છે અને બીજી તરફ રેલવેનો ટ્રેક પસાર થતો હોય મનોદિવ્યાંગ ક્યારે ઝૂપડામાંથી ચાલી નીકળે તે કહી ન શકાય. તેઓની સાથે કોઈ અકસ્માત ન બને તે માટે ફરજિયાત સાકળથી બાંધવાની ફરજ પડી છે. એટલુ જ નહિ, ઘણીવાર મનોદિવ્યાંગો આવેશમાં આવી જઈ લોકો પર પથ્થરો કરીને તેઓને નુકશાન પહોંચાડતા હોય છે. જેના કારણે કોઈને ઈજા થઈ જાય તોપણ વાતનું વતેસર થઈ જાય છે. આ માટે કાળજા પર પથ્થર રાખી બેડીઓમાં જકડી રાખવાની માતાપિતાને ફરજ પડી છે.

ઉપરોક્ત પરિવારની મજબૂરીને જોઈ સન્ડે સ્લમ ડેના સદસ્યોની આંખોમાં પણ અશ્રુધારા વહેવા લાગી હતી. રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ મજબુર પરિવારને સંવેદનશીલ રાજ્ય સરકારમાંથી વધુમાં વધુ સહાય મળે તે અંગે રજૂઆતો સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(4:59 pm IST)