Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

વરમોરના પ્લાન્ટ ૨૦૨૧માં પૂર્ણ થશેઃ ૧૨૦૦ રોજગારીની તકો ઉભી થશેઃ બે-ત્રણ વર્ષમાં ૧૬૦૦ કરોડની આવક

કંપનીનું ૨૦૨૦માં વેચાણ રૃ.૧૧૦૦ કરોડનું: શોરૃમ ૨૫૦થી વધારી ૩૨૦ કરશે

મુંબઇ, તા.૨૯: ભારતની અગ્રણી ટાઈલ્સ અને બાથવેર બ્રાન્ડમાં સ્થાન ધરાવતી વરમોરા ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડ ગુજરાતના મોરબીમાં બે અત્યાધુનિક હાઈટેક પ્લાન્ટ્સ ઊભા કરવા જઈ રહી છે. કંપની લાર્જ ફોર્મેટ જીવીટી ટાઈલ્સ માટે દૈનિક ૩૫,૦૦૦ ચોરસ મીટરમાં પથરાયેલા ઉત્પાદન એકમમાં લગભગ રૃ. ૩૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીના મતે આ પ્લાન્ટ્સ એપ્રિલ, ૨૦૨૧ સુધીમાં સંપૂર્ણપણે કોમર્શિયલી શરૃ થઈ જશે અને તેનાથી પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ૧,૨૦૦ રોજગારીની તકો ઊભી થશે. નવીનતા, ડિઝાઈન અને ટેકનોલોજીના ૨૫ વર્ષની ઊજવણી કરતાં કંપનીએ આગામી બે-ત્રણ વર્ષમાં રૃ. ૧,૬૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો છે.

ચેરમેન શ્રી ભાવેશ વરમોરાએ જણાવ્યું હતું કે 'વિશ્વસનીયતા, નવીનતા, ગુણવત્તા સભાનતા, ડિઝાઈન અને ટેકનોલોજી માટે વિશ્વાસપાત્ર નામ એવા વરમોરાએ પોતાના માટે એક મજબૂત બ્રાન્ડ ઓળખ બનાવી છે જેની વિશ્વસ્તરે નોંધ લેવાય છે.

કંપની સ્થાનિક બજારમાં મજબૂત હાજરી ધરાવે છે જેમાં ૭,૦૦૦થી વધુ ટચ પોઈન્ટ્સ છે જેમાં ડીલર અને સબ-ડીલર નેટવર્ક, ૨૫૦થી વધુ એકસકલુઝિવ શોરૃમ્સ અને વિદેશોમાં ૧૫ શોરૃમ્સનો સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦માં કંપનીનું વેચાણ રૃ. ૧,૧૦૦ કરોડનું રહ્યું છે.

શ્રી ભાવેશ વરમોરાએ વધુમાં જણાવ્યું હતું કે 'નિકાસ બજારમાંથી, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાંથી મજબૂત માંગના લીધે અમે વર્તમાન નાણાંકીય વર્ષમાં વેચાણમાં બે અંકોમાં વૃદ્ઘિ થવાની ધારણા રાખીએ છીએ. દુનિયાભરમાં મજબૂત બની રહેલા ચીન વિરોધી માહોલ અને અમેરિકા દ્વારા ચીનથી આયાત થતી ટાઈલ્સ પર ભારે ડ્યૂટી લાદવાના પગલે ભારતીય કંપનીઓ માટે નિકાસની મોટી સંભાવનાઓ અમે જોઈ રહ્યા છીએ. આગામી બે-ત્રણ વર્ષોમાં કંપનીએ રૃ. ૧,૬૦૦ કરોડની આવક મેળવવાનો, વર્તમાન નિકાસ નેટવર્કને ૭૦થી વધારીને ૧૦૦થી વધુ દેશોનું કરવાનો અને એકસકલુઝિવ શોરૃમ્સ વધારીને ૩૨૦થી વધુ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

(12:09 pm IST)