Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

દ્વારકાધીશ મંદિરની ધજાની ખાસિયતઃ પવન ગમે તે દિશાનો હોય આ ધ્વજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છેઃ મેઘધનુષ સમાન સપ્તરંગી ધજા દિવસમાં ૩ વખત અબોટી બ્રાહ્મણ દ્વારા બદલવામાં આવે છે

દ્વારકાઃ ગુજરાતનું દ્વારકાધીશ મંદિર હિંદુઓના પ્રમુખ ધાર્મિકસ્થળમાં આવે છે. હિંદુ ધર્મમાં જે ચારધામની યાત્રાનું મહત્વ છે તેમાંથી એક એટલે દ્વારકા અને અહીં આવેલું છે દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર. આ એજ જગ્યા છે જ્યાં હજારોવર્ષ પહેલા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ધજાની ખાસિયત એ છે કે પવન ગમે તે દિશાનો હોય આ ધજા હંમેશા પશ્ચિમથી પર્વ તરફ લહેરાય છે. ચલો જાણીએ આવી જ બીજી રોકક વાત..

દ્વારકાધીશના મંદિર પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. કેમ કે આ ધજા નાનકડી નહીં પણ પૂરા 52 ગજની હોય છે. હવે આટલી મોટી ધજા શા માટે તેની પાછળ કથા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું. દરેકના પોતના મહેલ હતા અને તેના પર પોતાની નિશાનીરુપ ધજા હતી. જ્યારે તેમાના મુખ્ય શ્રીકૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાન હોવાના કારણે તેમના મંદિરો બનાવવાાં આવ્યા છે. જ્યારે બાકીના 52 પ્રકારના યાદવોના પ્રતિક રુપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે. તો આ જ રીતે મંદિરમાં પ્રવેશ માટે ગોમતી નદીના મંદિરની સામેથી 56 પગથિયાની સીડી બનાવવામાં આવી છે.

મંદિર ઉપર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક ચિન્હો છે જેનો અર્થ એવો કરવામાં આવે છે કે જ્યાં સૂધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે. તેમજ સૂર્ય અને ચંદ્ર બને શ્રીકૃષ્ણના પણ પ્રતિક છે.

દ્વારકાધીશ મંદિર પર દિવસમાં ત્રણ વાર ધજા બદલવામાં આવે છે. સવારે, બપોરે અને સાંજે. અહીં મંદિર પર ધજા ચઢાવવા-ઉતારવા અને દક્ષિણાનો અધિકાર અબોટી જ્ઞાતિના બ્રાહ્મણોને છે. જોકે દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચઢાવવામાં આવે છે. જોકે આ તમામ ધજામાં સાત અલગ અલગ રંગ હોય છે.

આ શ્ર્લોકનો અર્થ થાય છે. મેઘ સમાન રંગવાળા, પીળુ રેશમી પિતામ્બર ધારણ કરવાવાળા, શ્રીવત્સ ચિન્હવાલા, કૌસ્તુભ મણીથી સુશોભિત, પુણ્ય કરવાવાળા, કમળ સમાન આંખોવાળા સર્વલોકના એકમાત્ર સ્વામી ભગવાન શ્રીકૃષ્ણને નમન કરું છું. આમ ભગવાનનો રંગે મેઘ સમાન હોવાથી તેમની ધજા મેઘધનૂષ સમાન સપ્તરંગી હોય છે.

લાલ રંગઃ ઉત્સાહ, સ્ફૂર્તિ, ધનધાન્ય અને વિપુલ સંપત્તિનો પ્રતિક છે.
લીલો રંગઃ આધ્યાત્મિક પ્રેરણાનો પ્રતિક મનાય છે. તે શાંતિ અને શિતળતા દેવાવાળો છે.
પીળો રંગઃ આ રંગને શાણપણ, માન્યતા, અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
વાદળી રંગઃ બળ અને પૌરુષનું પ્રતીક ગણવામાં આવે છે.
સફેદ રંગઃ શુદ્ધતા, શુદ્ધતા અને શિક્ષણનું પ્રતીક ગણાય છે.
કેસરીયો રંગઃ હિંમત, નિર્ભયતા અને પ્રગતિની નિશાની ગણવામાં આવે છે.
ગુલાબી રંગઃ માનવની પ્રકૃતિ દર્શાવે છે, જે નરમ અને આકર્ષક છે, તે કાંટા ઉપર પણ સ્મિત કરે છે. મનુષ્યો પણ આના જેવું હોવા જોઈએ.

(4:56 pm IST)